આસો સુદ એકમથી નોમ સુધી નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે. નવરાત્રીનો તહેવાર સૌથી વધુ ધામધૂમથી ગુજરાતમાં ઉજવાય છે. ગુજરાતના વિવિધ મંદિરો, મેટ્રો શહેરો, શહેરોથી લઈને ગામડાંઓમાં નવરાત્રીના ગરબાની ધૂમ હોય છે. ત્યારે આવો જાણીએ નવરાત્રીનું ધાર્મિક અને પૌરાણિક મહત્વ શું છે અને આ દરમિયાન કઈ રીતે નવરાત્રી ઉજવવામાં આવે છે.
9 દિવસ દેવી શક્તિનાં 9 સ્વરુપની આરાધનાઃ
એવું કહેવાય છે કે, માં શક્તિના મહિષાસુર સાથે ચાલેલા આ 9 દિવસના યુદ્ધ મુજબ નવ દિવસ સુધી દેવી શક્તિની પુજા કરવા માટે નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ 9 દિવસ દરમિયાન માં દેવી શક્તિનાં 9 સ્વરુપની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે. તેથી તો ઘણા લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે અને મા અંબાની આરાધના કરીને તેમની કૃપા મેળવે છે. નવરાત્રીનો આઠમો દિવસ એટલે કે આઠમ. આ દિવસે શક્તિ મંદિરોમાં ખુબ જ મોટા હવન કરવામાં આવે છે. આ દિવસનું મહત્વ ખુબ જ માનવામાં આવે છે.
ધાર્મિક અને પૌરાણિક મહત્વઃ
એક પૌરાણિક કથા મુજબ મહિષાસુર નામના રાક્ષસે ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા હતા. મહિષાસુરે અગ્નિદેવ પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઇ પણ નર જાતિના શસ્ત્રથી મૃત્યુ ન પામી શકે. આ વરદાન મેળવ્યા મહિષાસુર પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવી દીધો. આ વાતની જાણ દેવોને થઈ તો તેઓ ગભરાયા અને ભગવાન મહાદેવ પાસે પહોંચ્યા. મહાદેવને બધા દેવોએ પ્રાર્થના કરી કે, મહિષાસુરની મુસીબતમાંથી ઉગારો.
મહાદેવ શંભુએ બધા દેવોને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તમને દેવી શક્તિ જ ઉગારી શકે તેમ છે. બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરીને તેમને પ્રસન્ન કર્યાં અને દેવીએ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું. ત્યાર બાદ દેવી શક્તિ માંએ નવ દિવસ સુધી મહિષાસુર સાથે યુધ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો હતો. ત્યાર બાદ બધા દેવોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ.