ભાજપના સૌથી જુના સાથી શિવસેના સાથે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે બંને પક્ષ વચ્ચે લાંબી ગડમથલના અંતે ગઠબંધન તો થયું છે. પરંતુ બંને પક્ષના નેતાઓનાં નિવેદનો પરથી લાગે છે કે બંને હજી અલગ ચૂંટણી લડી રહ્યા છે. ખાસ કરીને મુખ્યમંત્રી પદની વાત આવે ત્યારે બંને પક્ષ ના મત અલગ થઈ જાય છે. ભાજપ વતી, પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસને ચહેરો બનાવ્યો છે અને એવો દાવો પણ કર્યો છે કે તેઓ ફરીથી મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે, જ્યારે શિવસેનાના નેતાઓ સતત આદિત્ય ઠાકરેને સીએમ ઉમેદવાર તરીકે પ્રમોટ કરી રહ્યા છે.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’માં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ વખતે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે કોઈ શિવ સૈનિક જ હશે. આ અંગે પ્રતિક્રિયા આપતા ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે “ઇચ્છા વ્યક્ત કરવામાં શું જાય છે”.
હકીકતમાં, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે “હું શિવ સૈનિકને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પદ પર બેસાડીને બતાવીશ, શિવસેનાના વડા (બાળાસાહેબ ઠાકરે) સાથેનું આ મારું વચન છે.” તેમણે કહ્યું, “આદિત્ય ઠાકરે ચૂંટણી લડી રહ્યાં છે તેનો અર્થ નથી કે હું રાજકારણમાંથી નિવૃત્ત થઈ ગયો છું અને કૃષિ ક્ષેત્રમાં ગયો છું, હું અહીં જ છું.” મુખ્યમંત્રી પદ માટે ભાજપની સંમતિ અંગે તેમણે કહ્યું કે, મેં કોઈનું સાંભળ્યું નથી કે કોઈને પૂછીને આ વચન આપ્યું નથી. મેં આ વચન મારા ભગવાન, મારા ગુરુ, મારા પિતા, મારા નેતાને આપ્યુંછે. હું જે માનું છું તે મારું વચન છે અને મેં કોઈની પરવાનગીથી તે આપ્યું નથી. કોઈની પરવાનગી હોવાને કે ન હોવાને કારણે તે અટકશે નહીં. મારે કોઈ પરવાનગીની જરૂર નથી. મતલબ મહારાષ્ટ્રને શિવસેનાના મુખ્ય પ્રધાન મળશે.
જણાવી દઈએ કે વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી શિવસેના 124 બેઠકો પર લડી રહી છે. એનડીએના નાના ઘટક જેવા કે આરપીઆઈ અને આરએસપી 14 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે જ્યારે ભાજપ 150 બેઠકો માટે મેદાનમાં છે. 21 ઓક્ટોબરે રાજ્યમાં મતદાન અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ બાદ ભાજપ પોતાના જુના સાથી સાથે આ મડાગાંઠનો ઉકેલ કઇ રીતે લાવશે એ જોવાનું રહેશે.