વિશ્વની સાત અજાયબીઓમાંથી એક તાજ મહેલ દુનિયાભરના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. તાજ મહેલ વિષે કહેવામાં આવે છે કે, તાજ મહેલ બની ગયા પછી શાહજહાંએ તે કારીગરોના હાથ કપાવી નાંખ્યા હતા જેથી દુનિયાભરમાં તાજ મહેલ જેવી પ્રતિકૃતિ ન બની શકે. જો કે ઈતિહાસમાં આ વાતના કોઈ પુરાવા નથી અને અનેક ઈતિહાસકારોએ આ વાતને ખોટી સાબિત કરી છે. જો તાજ મહેલની પ્રતિકૃતિની વાત કરીએ તો ભારતમાં અનેક સ્થળોએ તાજમહેલની પ્રતિકૃતિ જોવા મળશે.
રાજસ્થાનના કોટા શહેરમાં સેવન વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ નામનો એક પાર્ક છે, જ્યાં દુનિયાભરની 7 અજાયબીઓની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે અહીં તાજ મહેલની પ્રતિકૃતિ પણ હાજર છે.લોકો માટે આ પાર્ક ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં રહેતા એક રિટાયર્ડ પોસ્ટ માસ્ટર ફૈઝલ હસન કાદરીએ પોતાની મૃત પત્નીની યાદમાં તાજ મહેલ જેવી એક પ્રતિકૃતિ તૈયાર કરી અને પોતાની જીવનભરની કમાણી તેમાં લગાવી દીધી.
લખનઉમાં છોટા-ઈમામવાડા કોમ્પ્લેક્સમાં આવેલો શહઝાદીનો મકબરો તાજ મહેલની રેપ્લિકા છે. આ મકબરામાં અવધના ત્રીજા શહેનશાહ મોહમ્મદ અલી શાહ બહાદુરની દીકરી રાજકુમારી ઝીનત અસિયાના અવશેષ દફનાવવામાં આવેલા છે.
ઔરંગાબાદ સ્થિત તાજ મહેલની પ્રતિકૃતિને બીબી કા મકબરા કહે છે. ઔગરંગઝેબના દીકરા રાજકુમાર આઝમ ખાને પોતાની માતા દિલરાસ બાનુ બેગમની યાદમાં આ મકબરો બનાવડાવ્યો હતો.
IT સિટી બેંગ્લોરમાં પણ તાજ મહેલની પ્રતિકૃતિ છે. શહેરના પ્રસિદ્ધ બનારગટ્ટા રોડ પર મલેશિયન આર્ટિસ્ટ સીકરે વર્ષ 2015માં આ ઈમારતનું નિર્માણ કર્યુ હતું.