કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પસંદ કરવામાં ઘણી વાર લગાડી તેનું એક કારણ એ પણ છે કે પક્ષે રાજ્યનું સુકાન જેમને આપ્યું છે તેઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસના અત્યંત નજીકનાં સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જગદીશ ઠાકોર ચૂંટણી નહીં લડે અને માત્ર પક્ષને ગુજરાતમાં ચૂંટણી જીતાડવાની કામગીરી કરશે, તેવો નિર્ણય લેવાયો છે અને જદગીશ ઠાકોરે સહમતી આપી છે. આથી તેઓ માત્ર પક્ષનું સુકાન સંભાળશે, પરંતુ મુખ્ય પ્રધાનપદના દાવેદાર નહીં બને તેમ જાણવા મળ્યું છે.
કોંગ્રેસમાં મુખ્ય પ્રધાન તરીકે કોનો ચહેરો આગળ કરશે તે રસપ્રદ બની રહેશે. હાર્દિક પટેલ કે જિજ્ઞેશ મેવાણીને અનુભવનો અભાવ નડી જાય તેમ છે. ત્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને કેન્દ્રમાં પ્રધાન રહી ચૂકેલા ભરતસિંહ સોલંકીનું નામ લેવામાં આવી રહ્યું છે.
ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર ચહેરો મુખ્ય પ્રધાન તરીકે હોવાની માગણી કરી હતી અને જગદીશ ઠાકોરનું નામ જાહેર થતાંના બીજા જ દિવસે ભરતસિંહ નરેશ પટેલને બંધબારણે મળ્યા હતા ત્યારે આ મુલાકાત ઘણી સૂચક સાબિત થઈ શકે છે. સોલંકી ઉપરાંત ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલ, અર્જુનસિંહ મોઢવાડિયા, અમિત ચાવડા જેવા દિગ્ગજો છે ત્યારે આ અંગે પક્ષ ફોડ પાડશે ત્યાં સુધી અટકળોનું બજાર ગરમ રહેશે.