ગુજરાત કોંગ્રેસની યુવા નેતાગીરી નામે જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ કોંગ્રેસને જોશ ભરી રહ્યા છે તો નવનિયુક્ત પ્રમુખ જગદીશ ઠાકોરે આક્રમક રીતે શરુઆત કરી છે. આવામાં ઠાકોર સમાજના નેતા અને કોંગ્રે છોડી ગયેલા અલ્પેશ ઠાકોરની ચર્ચા થાય એ અપેક્ષિત છે. જગદીશ ઠાકોર અને જિજ્ઞેશ મેવાણીએ ગુજરાતી વેબ ચેનલ સાથે કરેલી વાતમાં અલ્પેશના મુદ્દે કંઈક અલગ અલગ સૂર સાંભળવા મળ્યા છે.
જિજ્ઞેશ મેવાણીએ ચેનલને કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ આવનાર દિવસોમાં ભાજપને જોરદાર જવાબ આપશે અને આના માટે તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. યુવા નેતાગીરી સિનિયર નેતાઓની સાથે કામ કરીને નવી દિશામાં આગળ વધી રહી છે. અલ્પેશ ઠાકોર અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં મેવાણીએ કહ્યું હતું કે તેઓ જો કોંગ્રેસમાં પાછા આવવા માંગતા હશે તો તેમનું સ્વાગત છે અને તેમના તેડવા માટે તેમના ઘરે જઈશું અને જગદીશભાઈને પણ સાથે લઈ જઈશું.
જિજ્ઞેશ મેવાણીએ અલ્પેશ ઠાકોર અંગે કરેલા નિવેદન બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરને એક ગુજરાતી વેબ ચેનલ દ્વારા આ અંગે પૂછવામાં આવતા તેમણે અલ્પેશ ઠાકોરનું નામ લેવાનું ટાળ્યું હતું. તેમણે કહ્યું કે જે લોકો કોંગ્રેસની વિચારધારામાં માને છે તેવા તમામ લોકોનું સ્વાગત છે. જે લોકો કોંગ્રેસમાં આવવા માંગે છે તેમના મુદ્દા શું છે તે અંગે હાઈકમાન્ડ અને પ્રદેશ નેતાગીરી સાથે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવશે. આ અંગે હું વિશેષ કશું કહી શકું એમ નથી.
અલ્પેશ ઠાકોરના પ્રશ્ને જગદીશ ઠાકોરે સીધી રીતે જવાબ આપ્યો ન હતો અને તેમણે ગોળ ગોળ વાત કરી હતી જ્યારે જિજ્ઞેશ મેવાણીએ સીધી અને સ્પષ્ટ વાત કરીને અલ્પેશ ઠાકોરને ખૂલ્લૂં નિમંત્રણ આપ્યું હતું. હવે જોઈએ કે ઠાકોર સમાજનુે આ રાજકારણ કેટલા અને કેવા પડખાં બદલે છે.