રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે મોંઘવારીથી પીડિત અર્થવ્યવસ્થાના મોરચે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આરબીઆઈનું લક્ષ્ય આગામી બે વર્ષમાં મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનું છે. જુલાઈમાં ફુગાવો ઘટીને 6.71 ટકા પર આવી ગયો છે, છેલ્લા ચાર મહિનામાં આ પ્રથમ વખત છે જ્યારે ફુગાવો 7 ટકાથી નીચે આવ્યો છે.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં શક્તિકાંત દાસે કહ્યું હતું કે મોંઘવારી તેની ટોચ પર છે, તેથી ભાવમાં વધારો સ્થિર થઈ રહ્યો છે. આરબીઆઈ દરેક ડેટા પર નજર રાખી રહી છે, આ મામલે સંતોષ સાથે બેસી રહેવાની જરૂર નથી. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે આરબીઆઈએ મે મહિનાથી રેપો રેટમાં 140 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે તે વધીને 5.4% થઈ ગયો છે. ડોઇશ બેંકના અહેવાલમાં સપ્ટેમ્બરમાં રેપો રેટમાં વધારો થવાની ધારણા છે.
તેમના ઈન્ટરવ્યુ દરમિયાન આરબીઆઈ ગવર્નરે કહ્યું કે અમે આવનારા બે વર્ષમાં મોંઘવારી ધીમે ધીમે ઘટાડવા માંગીએ છીએ. અમે વૃદ્ધિને રોક્યા વિના આગામી સમયમાં 4 ટકાના લક્ષ્ય સુધી પહોંચીશું. તેમણે કહ્યું કે ઘણી બાબતો વૈશ્વિક સ્તરે પણ ફુગાવાને અસર કરે છે. મોંઘવારી દર ઘટવાથી સામાન્ય માણસને રાહત મળશે.
બેંકોના ખાનગીકરણ પર બોલતા દાસે કહ્યું કે RBI માત્ર બેંકોના નિયમન પર નજર રાખે છે. બેંકોની માલિકીમાં કેન્દ્રીય બેંકની કોઈ ભૂમિકા હોતી નથી. તેમણે આ વાત આરબીઆઈ દ્વારા જારી કરાયેલ સ્વતંત્ર લેખમાં આપી હતી.