શિલ્પા શેટ્ટી અને તેનો પરિવાર ફરી એક વિવાદમાં આવ્યો છે. એક વેપારીની ફરિયાદના આધારે અંધેરી કોર્ટે શિલ્પા શેટ્ટી, અને તેમની માતા સુનંદા શેટ્ટીને ૨૮ ફેબુ્રઆરીએ કોર્ટમાં હાજર થવા માટે સમન્સ મોકલ્યું છે. વેપારીએ શેટ્ટી પરિવાર પર રૂા. ૨૧ લાખની લોન નહિ ચુકવવાનો આરોપ લગાવ્યો છે.તમામ આરોપીઓ સામે સેકશન ૪૦૬, ૪૨૦ અને ૩૪ હેઠળ કામ ચલાવવા પૂરતા કારણો છે.ફરિયાદ મુજબ શિલ્પાના પિતા સુરેન્દ્રએ ૨૦૧૫માં કથિત રીતે લોન લીધી હતી. સુરેન્દ્રએ આ લોન વાર્ષિક ૧૮ ટકાના વ્યાજે લીધી હતી.
કથિત રીતે ચેક સુરેન્દ્રની કંપનીની તરફેણમાં લખાયો હતો. સુરેન્દ્રએ પોતાની પુત્રીઓ અને પત્નીને આ લોન વિશે જાણકારી આપી હતી. પણ સુરેન્દ્ર આ લોન ચુકવી શકે તેના અગાઉ જ ૧૧ ઓકટોબર, ૨૦૧૬ના રોજ તેનું અવસાન થયું. પણ ત્યાર બાદ શિલ્પા, શમિતા અને સુનંદાએ આ લોન ચુકવવાનો ઈન્કાર કરી દીધો.ફરિયાદી ઓટોમોબાઈલ એજન્સીનો માલિક છે અને તેણે કાનૂની ફર્મ મેસર્સ વાઈ એન્ડ એ લીગલ દ્વારા રૂા. ૨૧ લાખની છેતરપિંડીની ફરિયાદ કરી છે. વેપારીનો દાવો છે કે શિલ્પાના સદ્ગત પિતાએ રૂા. ૨૧ લાખ ઉધાર લીધા હતા અને તેમણે આ રકમ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ વ્યાજ સાથે પાછી આપવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીનો આરોપ છે કે શિલ્પા, શમિતા અને સુનંદા ત્રણે સુરેન્દ્રની કંપનીમાં પાર્ટનર હતા. આરોપીએ ૨૪ એપ્રિલ, ૨૦૧૭ના રોજ નોટિસ મોકલી હતી. પણ શેટ્ટી પરિવારે કોઈ લોન બાકી હોવાનો ઈન્કાર કરીને તેમના જ લેણા નીકળતા હોવાનો આરોપ કર્યો હતો.
આથી વેપારીએ જૂહૂ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી જ્યાં તેને કોર્ટમાં ફરિયાદ કરવા જણાવાયું હતું.હાલમાં જ એક કોર્ટે બોલીવૂડની આ અભિનેત્રીને લગભગ ૧૫ વર્ષ જૂના અશ્લિલતા મામલામાં આરોપ મુક્ત કરી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે શિલ્પા હોલીવૂડ અભિનેતા રિચાર્ડ ગેરેના કૃત્યથી પીડિત હોવાનું જણાય છે. ગેરેએ એક સાર્વજનિક કાર્યક્રમમાં શિલ્પાને ચૂંબન કર્યું હતું જેના બાદ શિલ્પા સામે અશ્લિલતાનો કેસ દાખલ થયો હતો.