અમિતાભ બચ્ચનને થોડાં સમય પહેલાં જ નાણાવટી હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે એડમિટ કરવામાં આવ્યા હતાં. 77 વર્ષીય અમિતાભની તબિયત હાલમાં સારી છે અને તેમણે ‘કેબીસી 11’નું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. આ શો ચાહકોમાં ઘણો જ લોકપ્રિય છે. હાલમાં જ બિગ બીએ બ્લોગમાં લખ્યું હતું કે તેમનું વજન પાંચ કિલો ઘટી ગયું છે.
શું કહ્યું અમિતાભ બચ્ચને?
અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું હતું કે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ અત્યાર સુધી તેમનું વજન પાંચ કિલો જેટલું ઘટ્યું છે. આ વાત તેમના માટે ઘણી જ સારી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે વજન ઉતરવાને કારણે પગલાં હળવા બન્યા અને ડાયટ પર પણ કંટ્રોલ થયો છે. એકંદરે આ ફાયદાકારક રહ્યું.
18 ઓક્ટોબરે રજા આપી
15 ઓક્ટોબરે રાત્રે બે વાગે અમિતાભ બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં રૂટીન ચેકઅપ માટે ગયા હતાં. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યા હતાં અને પછી 18 ઓક્ટોબરે રજા આપવામાં આવી હતી.
રજા આપ્યા બાદ અમિતાભ નારાજ પણ થયા હતાં
અમિતાભે બ્લોગમાં કહ્યું હતું, મહેરબાની કરીને પ્રોફેશનલ ડોક્યુમેન્ટેશનના કોડને તોડો નહીં. બીમાર પડવું અને ઈલાજ કરાવો એ વ્યક્તિની પ્રાઈવસી રાઈટ છે. આ શોષણ છે અને તેનો ધંધાકીય વપરાશ કરવો સામાજિક રીતે ગેરકાયદેસર છે. સન્માન કરો અને વાતને સમજો. દુનિયામાં દરેક વસ્તુ વેચવા માટે નથી હોતી. આ ઉપરાંત તેમણે એ ચાહકોનો આભાર માન્યો હતો, જેમણે તેમની હેલ્થને લઈને ચિંતા વ્યક્ત કરી અને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી. બ્લોગમાં તેમણે પોતાના ચાહકોના અને આરાધ્યા સાથેના ફોટો પણ શેર કર્યા હતાં.
બે વર્ષ બાદ અમિતાભ બચ્ચન દિવાળી પાર્ટી આપશે
અમિતાભ બચ્ચન બે વર્ષ બાદ આ વખતે દિવાળી પાર્ટી આપવાના છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં બિગ બીની દિવાળી પાર્ટી લોકપ્રિય છે. આ પાર્ટીમાં બોલિવૂડની અનેક જાણીતી હસ્તીઓ હાજરી આપતી હોય છે.