મુંબઈ : બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ ‘દિલ બેચરા’ ચર્ચામાં છે. લોકો ફિલ્મના ટ્રેલરને પસંદ કરી રહ્યા છે અને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. જોકે, ઘણા ચાહકોએ અપીલ કરી છે કે સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવી જોઈએ જેથી લોકો તેને મોટા પડદા પર જોઈ શકે. ઓટીટી પ્લેટફોર્મ પર ફિલ્મના રિલીઝના વિરોધ વચ્ચે, એવું પણ જાણવા મળ્યું છે કે સુશાંત સિંહ પણ જાણતો હતો કે આ ફિલ્મ ઓટીટી પર રીલિઝ થશે અને તે અંગે તે ખુબ ખુશ હતો.
ફિલ્મના ડિરેક્ટર મુકેશ છાબરાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેણે સુશાંતને કહ્યું હતું કે આ ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે. જેથી સુશાંતને ફિલ્મની ઓનલાઇન રિલીઝ વિશે જાણ હતી અને તેમને લાગ્યું હતું કે ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો શ્રેષ્ઠ સમય છે, કારણ કે દરેક જણ તેને જોઈ શકશે. છાબરાએ કહ્યું કે સુશાંતને ખબર હતી કે થિયેટરો ક્યારે ખુલશે તેની કોઈ નિશ્ચિતતા નથી.