મુંબઈ : ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજીની આજે એનડીપીએસ કોર્ટમાં સુનાવણી થવાની હતી. પરંતુ સરકારી વકીલ અતુલ સરપાંડે સેશન્સ કોર્ટની બે અલગ અલગ સુનાવણીમાં વ્યસ્ત છે. જેના કારણે તેઓ એનસીબીની તરફેણ રાખી શકશે નહીં. જો કે એનસીબીના અધિકારીઓ ભારતી અને હર્ષની અરજીની સુનાવણી માટે મંગળવારે કોર્ટમાં અપીલ કરશે.
જો એનસીપીએસ કોર્ટે એનસીબીને ધ્યાનમાં લેતા મંગળવારે આ મામલે સુનાવણી કરવાનો નિર્ણય લે છે, તો હર્ષ અને ભારતીને વધુ એક રાત જેલમાં પસાર કરવી પડશે. એટલે કે, ભારતી અને હર્ષની જામીન અરજી પર મંગળવાર (24 નવેમ્બર) ના રોજ સુનાવણી થશે. અગાઉ બંનેને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં બંનેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
એનસીબી તેની તરફેણ કરશે
અતુલ સરપાંડેએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે તેઓ સેશન્સ કોર્ટમાં બે અલગ અલગ કેસની સુનાવણીમાં વ્યસ્ત છે, તેથી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા જામીન કેસની સુનાવણીમાં હાજરી આપી શકશે નહીં. જો કે, એનસીબી આજે એનડીપીએસ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરશે અને સુનાવણી માટે આવતી કાલ, મંગળવારનો સમય માંગશે.
બંનેને અલગ જેલમાં મોકલાયા
ભારતી સિંહને ભાયખલા જેલમાં લાવવામાં આવી હતી જ્યાં તે 4 ડિસેમ્બર સુધી રહેશે. તે જ સમયે, તેમના પતિ હર્ષ લિંબિચિયા તલોજા જેલમાં રહેશે. જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ તરત જ બંનેએ એડવોકેટ અયાઝ ખાન મારફત જામીન અરજી કરી હતી, જેની સુનાવણી આજે થવાની હતી. આ દરમિયાન એનસીબીના વકીલ અતુલ સરપાંડેએ મીડિયાને આખી ઘટના વિશે જણાવ્યું હતું.
દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો
ભારતી અને હર્ષની સાથે બે ડ્રગ પેડલર્સને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ ડ્રગ્સના વેપારીઓને પોલીસ કસ્ટડીમાં રાખવાનો નિર્ણય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે એનસીબીએ ભારતી સિંહની ઓફિસ અને ઘર પર દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આ પછી બંનેને પૂછપરછ માટે એનસીબી ઓફિસમાં બોલાવાયા હતા. બંનેને જુદા – જુદા ઓરડામાં બેસાડીને પૂછપરછ કરવામાં આવી હતી. સાડા ત્રણ કલાકની પૂછપરછ બાદ ભારતીની ધરપકડ કરવામાં આવી હતી.