મુંબઈ : આ વખતે ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ તેમના નસીબ અજમાવવા માટે લોકસભાની ચૂંટણીના મેદાને ઉતર્યા. તાજેતરમાં, કોંગ્રેસમાં જોડાયેલી અભિનેત્રી ઉર્મિલા માતોંડકરને મુંબઇ નોર્થ લોકસભા બેઠક માટે પાર્ટી દ્વારા નામાંકિત કરવામાં આવી છે. આ બેઠકને ભાજપના ગઢ તરીકે ગણવામાં આવે છે. ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટી સામે ઉર્મિલાની ટક્કર થશે. રવિવારે, ઉર્મિલા ઓટો ડ્રાઇવરો સાથે દેખાઈ હતી. એવું કહેવામાં આવે છે કે ગોરાઈ (મુંબઈ) માં કૉંગ્રેસ ઑફિસમાં જતી વખતે ઉર્મિલાએ ઓટો ડ્રાઇવરો સાથે મુલાકાત કરી અને તેમને મત આપવા વિનંતી કરી હતી.
ગોપાલ શેટ્ટીએ 2014 ની ચૂંટણીમાં ભૂતપૂર્વ મુંબઇ કોંગ્રેસના વડા સંજય નિરુપમને હરાવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પક્ષ શેટ્ટી સામે કોઈ જાણીતો ચહેરો ઉતારવા માંગતો હતો. તેથી ઉર્મીલાનું નામ પસંદ કરાયું હતું. ભાજપના નેતા રામ નાઇકે 1989 અને 1999 ની વચ્ચે આ બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હાલમાં, રામ નાઇક ઉત્તર પ્રદેશના ગવર્નર છે.
2004 માં, અભિનેતા ગોવિંદાએ કોંગ્રેસની ટિકિટ પર રામ નાયકને હરાવ્યા હતા. તે પછી, તેમણે 2009 માં ચૂંટણી લડી ન હતી. નિરુપમે આ બેઠક જીતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસને મુંબઈમાં ચાર અન્ય બેઠકો પર તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. મુંબઇ નોર્થ-વેસ્ટથી નિરુપમ, મુંબઇ નોર્થ સેન્ટ્રલ પરથી પ્રિયા દત્ત, મુંબઈ દક્ષિણથી મિલિંદ દેવરા અને મુંબઇ દક્ષિણ-મધ્ય બેઠક પરથી એકનાથ ગાયકવાડને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.