નવી દિલ્હી : અભિનેત્રી માધુરી દિક્ષિત નેનેનું કહેવું છે કે, તે લોકસભાની ચૂંટણી લડશે નહીં. એવા અહેવાલ હતા કે માધુરી ભારતીય જનતા પક્ષ (બીજેપી) માટે પુણેથી લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ તેણી કહે છે કે તે કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ નથી.
માધુરીએ જણાવ્યું હતું કે, “આ માત્ર અફવા છે, હું કોઈપણ રાજકીય પક્ષ માટે ચૂંટણી લડવાની નથી, મેં આ મુદ્દા પર મારો હેતુ સ્પષ્ટ કરી દીધો છે.” અભિનેત્રીએ આગળ કહ્યું હતું કે, “મને લાગે છે કે અમે અભિનયના ક્ષેત્રમાં ત્રણ લોકો છીએ, જેના અંગે અફવા ફેલાયેલી હતી અને મેં આ મુદ્દા પર મારા મંતવ્યો સ્પષ્ટ કરી દીધા હતા.”
વર્ષ 1984માં ફિલ્મ ‘અબોધ’ સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર માધુરી આજ સુધી લોકોના દિલની ધકધક ગર્લ બની રહી છે. ભારતીય સિનેમાનો એક મહત્વપૂર્ણ ચહેરો છે. તેમણે ‘રામ લખન’, ‘બેટા’, ‘તેજાબ’ અને ‘ખલનાયક’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.
માધુરી હાલના દિવસોમાં મરાઠી ફિલ્મ ’15 ઓગસ્ટ’ને પ્રમોટ કરવામાં વ્યસ્ત છે. જે નેટફ્લિક્સ પર 29 માર્ચે રિલીઝ થશે. આ સાથે જ ફિલ્મ મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કલંક’માં પણ માધુરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. માધુરી ‘કલંક’માં બહાર બેગમનું પાત્ર નિભાવતી જોવા મળશે. હાલમાં જ સામે આવ્યું છે કે, ‘કલંક’નું ગીત ઘર મોરે પરદેશીયા’માં માધુરીનો લૂક ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ગીતમાં માધુરીની સામે આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે.