મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનાં મોત બાદ મુંબઇ પોલીસ તેના મોતનું ચોક્કસ કારણ શોધવા માટે લાગી ગઈ છે. જો કે તેનો પ્રોવિઝનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો છે, જેમાં એમ કહેવામાં આવ્યું છે કે તેમનું મોત ફાંસીના કારણે ગૂંગળામણથી થયું હતું. હવે મુંબઈ પોલીસ તેની આત્મહત્યાના કારણો શોધી રહી છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે પણ મુંબઈ પોલીસને તેમના મૃત્યુનાં વ્યાવસાયિક કારણો શોધવા આદેશ આપ્યો છે.
આ પછી, મુંબઈ પોલીસે બોલીવુડની સૌથી મોટી પ્રોડક્શન કંપની યશરાજ ફિલ્મ્સને એક પત્ર લખીને સુશાંતસિંહ રાજપૂત સાથે કરાયેલા કરારની નકલ માટે કંપનીને કહ્યું છે. મુંબઇ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, તપાસ ટીમ એ જાણવા માંગતી હતી કે સુશાંત સિંહ રાજપૂતે યશ રાજ ફિલ્મ્સ સાથે કેટલો કરાર કર્યો હતો અને સુશાંતે તેની સાથે કેટલી ફિલ્મો કરી હતી. સુશાંતસિંહે યશ રાજ ફિલ્મ્સ પ્રોડક્શન સાથે બે ફિલ્મો કરી હતી.
મુંબઈ પોલીસે ગુરુવારે સુશાંત સિંહના પીઆર મેનેજર રાધિકા નિહલાની અને પૂર્વ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદીના નિવેદનો રેકોર્ડ કર્યા છે. અધિકારીએ કહ્યું કે, શ્રુતિ મોદીએ આ વર્ષે જુલાઈ 2019 થી ફેબ્રુઆરીની વચ્ચે રાજપૂત સાથે કામ કર્યું હતું. શ્રુતિ મોદીએ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું કે રાજપૂત કંપની રજીસ્ટર કરવાના હતા. આ કંપનીનું નામ નેશન ઈન્ડિયા ફોર વર્લ્ડ રાખવામાં આવ્યું હતું, જે અંતર્ગત રાહત કાર્ય અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્ય કરવામાં આવનાર હતાં.