નોઈડા પોલીસે યુટ્યુબર અને બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવને સાપના ઝેરના કેસમાં પોલીસ સમક્ષ હાજર થવા માટે નોટિસ આપી છે. એલશિવને ટૂંક સમયમાં નોઈડા પોલીસના સવાલોનો સામનો કરવો પડશે. આ કેસમાં નોઈડા પોલીસ મંગળવાર સાંજ સુધીમાં ધરપકડ કરાયેલા પાંચ આરોપીઓના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી શકે છે. નોઈડા પોલીસ ધરપકડ કરાયેલા આરોપી રાહુલ સાથે એલ્વિશ યાદવને રૂબરૂ કરાવી શકે છે.
3 નવેમ્બરના રોજ નોઈડા પોલીસે રેવ પાર્ટીમાં કથિત રીતે સાપના ઝેરનો ઉપયોગ કરવા બદલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને OTT રિયાલિટી શો બિગ બોસના વિજેતા એલ્વિશ યાદવ સહિત છ લોકો વિરુદ્ધ વાઈલ્ડ લાઈફ (પ્રોટેક્શન) એક્ટ અને ઈન્ડિયન પીનલ કોડ હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી પાંચ કોબ્રા સહિત નવ સાપને બચાવી લેવામાં આવ્યા હતા અને 20 મિલી શંકાસ્પદ સાપનું ઝેર પણ મળી આવ્યું હતું.
પોલીસે કહ્યું કે તેઓ સમગ્ર બનાવમાં એલ્વિશ યાદવની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. એલ્વિશ 3 નવેમ્બરના રોજ ઘટના સ્થળે મળી આવ્યો ન હતો. યુટ્યુબરે તેની સામેના તમામ આરોપોને નકારી કાઢ્યા અને પોલીસ તપાસમાં સહકાર આપવાનું કહ્યું. આ કેસ એનિમલ રાઈટ્સ ગ્રુપ પીએફએ (પીપલ્સ ફોર એનિમલ્સ)ના અધિકારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો.
PFA પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા મેનકા ગાંધીએ એલ્વિશ યાદવ પર સાપનું ઝેર ગેરકાયદેસર રીતે વેચવામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો અને તેની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. 4 નવેમ્બરે, રાજસ્થાનના કોટામાં, પોલીસે એલ્વિશને પૂછપરછ માટે રોક્યો જ્યારે તે તેના મિત્રો સાથે કારમાં મુસાફરી કરી રહ્યો હતો. કોટામાં સ્થાનિક પોલીસે કહ્યું કે જાણવા મળ્યું કે તેની વિરુદ્ધ નોઈડામાં કેસ નોંધવામાં આવ્યો હતો અને તેથી નોઈડા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.