મુંબઈ : કંગના રનૌત સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ચર્ચામાં રહેલા લગભગ દરેક મુદ્દા પર કંગના પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે અને મોટાભાગના પ્રસંગોમાં તે મોદી સરકારના નિર્ણયોનો બચાવ કરે છે. ખેડૂત આંદોલન પર પ્રતિક્રિયા આપવાનું ચુકી નહીં પણ તે ચક્કરમાં તેનાથી એક મોટી ભૂલ થઇ ગઈ હતી.
કંગનાએ એક બનાવટી ટ્વીટ રિટ્વીટ કર્યું હતું. જો કે, જ્યારે તેને પાછળથી સમજાયું કે તેણે ભૂલ કરી છે, ત્યારે તેણે આ ટ્વિટ પણ ડિલીટ કર્યું હતું. પરંતુ ત્યાં સુધી મોડુ થઈ ગયું હતું અને આ ટ્વીટનો સ્ક્રીનશોટ ખૂબ વાયરલ થયો હતો. આ ટ્વિટને કારણે કંગનાની ઘણી ટીકા થઈ હતી. હવે ટીવી એક્ટર પ્રિન્સ નરૂલાએ પણ આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી છે.
પ્રિંસે કંગનાનો તે ટ્વીટ સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું અને લખ્યું, “વાહ જી વાહ કંગના રનૌત. ઘણા લોકોએ તમને એમ વિચારીને ટેકો આપ્યો કે તમે એકલા લડી રહ્યા છો. આ લોકો તમારી સાથે હતા અને આજે તમે અમારા વડીલોને 100 રૂપિયાના કેરેક્ટર આર્ટિસ્ટ કહી રહી છો. જ્યારે તમારા ઘરની એક દિવાલ તૂટી ગઈ ત્યારે કેટલી ઇજા થઈ હતી અને બધાએ તમારો સાથ આપ્યો હતો.જ્યારે ખેડૂત અને મજૂર તેમના હક માટે લડતા હોય, તો તમને પચતું નથી. વાહ રે, દુનિયા વાહ ! ખૂબ જ સ્વાર્થી છે. # અમે ખેડૂતોની સાથે ઉભા છીએ # અમે પણ ખેડૂત છીએ. “