મુંબઈ : સુશાંત સિંહ મૃત્યુ કેસના ઇડી સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી થોડા દિવસોમાં ઇડી રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીને સમન્સ પાઠવવામાં આવશે અને તપાસમાં જોડાવા બોલાવાશે. ઇડી અથવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હવે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિકની કંપનીઓની પણ તપાસ કરશે.
સૂત્રો અનુસાર, રિયા અને તેના ભાઈએ સપ્ટેમ્બર 2019 થી જાન્યુઆરી 2020ની વચ્ચે બે કંપની શરૂ કરી હતી. કંપનીની રચના થયા બાદ આજદિન સુધી આ કંપનીઓમાં પૈસાની લેવડદેવડ થઈ નથી. ઇડી ટીમ એ શોધવા માટે પ્રયાસ કરી રહી છે કે આ બંને કંપનીઓ શેલ અથવા સ્યુડો કંપનીના હેતુથી ખોલવામાં આવી હતી.
તપાસ દરમિયાન ઇડીની ટીમ રિયા ચક્રવર્તી અને તેના પરિવારના બેંક ખાતાઓની પણ તપાસ કરશે. ઇડીને શંકા છે કે સુશાંતના ખાતામાંથી રૂપિયા 15 કરોડ ઉપાડવામાં આવ્યા છે અને શેલ કંપનીમાં રોકાણ કર્યું છે. તેથી, આ ખૂણા પર પણ તપાસ ચાલી રહી છે. સુશાંત સિંહ રાજપૂતે 2018 માં તેમની એક કંપની ઈન્સઇ વેન્ચર્સની રચના કરી. તેના રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે, એટલે કે ઈડી પણ ત્યાંથી કોઈ ચાવી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો છે.