નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ‘પીએમ નરેન્દ્ર મોદી’ કોઈને કોઈ કારણે ચર્ચામાં ઘેરાયેલી રહે છે. હવે આ ફિલ્મને લઈને અભિનેતા સલમાન ખાને સવાલ ઉઠાવ્યો છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય પીએમની ભૂમિકામાં છે. ભૂતકાળમાં કેટલાક વિવાદો માટે આ ફિલ્મ હંમેશા ચર્ચામાં રહી છે. તાજેતરમાં સમાચાર સામે આવ્યા છે કે, ચૂંટણી પંચે આચાર સંહિતાને ટાંકતા ફિલ્મ નિર્માતાઓને નોટિસ મોકલી છે.
આ સાથે જ અગાઉ જાવેદ અખ્તર અને સમીરએ ફિલ્મના ક્રેડિટમાં તેમનું નામ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરવાની સાથે સવાલ કર્યો હતો કે મેં આ ફિલ્મમાં કોઈ ગીત લખ્યું નથી તો પછી અમારું નામ શા માટે લખવામાં આવ્યું છે. જોકે, બાદમાં ફિલ્મના નિર્માતા સંદીપ સિંહએ સ્પષ્ટ કર્યું કે આ ફિલ્મમાં ‘સુનો ગૌર સે દુનિયાવાલો’ અને ‘ઈશ્વર અલ્લાહ’ ગીત લેવામાં આવ્યા છે. સમીર અને જાવેદને આ ગીતોની ક્રેડિટ આપવામાં આવી છે.
આ એક વિવાદ સમાપ્ત થયો છે ત્યાં તાજેતરના અહેવાલો અનુસાર, સલમાન ખાન હવે આ બાયોપિકથી નારાજ થયા છે. જો સમાચારનું માનવામાં આવેતો ગીત “સુનો ગૌર સે દુનિયાવાલો” આ ફિલ્મમાં લેવામાં આવ્યું છે, આ કારણે સલમાન નારાજ છે. વાસ્તવમાં આ ગીત સલમાન ખાન, સંજય દત્ત, રવિના ટંડન અને શિલ્પા શેટ્ટી પર ફિલ્માંકન કરાયું હતું. પરંતુ આ ફિલ્મના પ્રોડ્યુસરનુ મોત થતા આ ફિલ્મ રિલીઝ થઇ નથી. પરંતુ આ ગીત ઘણું લોકપ્રિય છે.
માહિતી મુજબ, આ ગીતના રાઇટ્સ ટી-સિરીઝ પાસે હતા. જે રાઇટ્સ મેળવીને ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મમાં ટી- સિરીઝને ક્રેડિટ આપવામાં આવી છે. પરંતુ આ ગીતના અમુક રાઇટ્સ સલમાન ખાન પાસે પણ હતા. તેમ છતાં સલમાનને પૂછ્યા વગર આ ગીત લેવા બદલ સલમાન નારાજ છે. આ સાથે જ એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે, સલમાન નથી ઈચ્છતો કે તેનું ગીત વિવેક ઓબેરોય સ્ટારર આ ફિલ્મમાં લેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી એશ્વર્યા સાથેના સંબંધોને લઈને સલમાન અને વિવેક વચ્ચે જે તે સમયે વિવાદ સર્જાયો હતો અને આજ દિન સુધી બંને વચ્ચે સુલેહ થઇ નથી. માહિતી મુજબ સલમાનને ખબર ન હતી કે આ ગીત ફિલ્મમાં લેવામાં આવ્યું છે. જ્યારે નિર્માતાએ સમીર અને જાવેદને ક્રેડિટ આપી, ત્યારે જ સલમાનને આ ગીત વિશે ખબર પડી. નોંધનીય છે કે, આ બાબત અંગે હજુ કોઈપણ તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી.