મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતનો પરિવાર અભિનેતાના મોત માટે રિયાને જવાબદાર માને છે. સુશાંતના પિતાએ પણ રિયા સામે પટનાના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે. આ સાથે જ રિયાએ પણ સુશાંતના પરિવાર પર સીધો હુમલો કરવાની શરૂઆત કરી દીધી છે. 7 સપ્ટેમ્બર, સોમવારે રિયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતની બહેન પ્રિયંકા, મીતુ સિંહ અને રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડોક્ટર તરુણ કુમાર અને અન્ય સામે કેસ દાખલ કર્યો હતો.
રિયાનો આરોપ છે કે, પ્રિયંકા સિંહે સુશાંત માટે નકલી મેડિકલ પ્રિસ્ક્રિપ્શન બનાવ્યું. તેની બહેન સુશાંતને ગેરકાયદેસર રીતે દવાઓ આપી રહી હતી, જે એનડીપીએસ એક્ટ હેઠળ આવે છે. રિયાની આ એફઆઈઆર પર સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ પ્રતિક્રિયા આપી છે. શ્વેતાએ ટ્વિટ કરીને લખ્યું- કોઈ પણ વસ્તુ અમને તોડવાની નથી, ખોટી FIR બિલકુલ નહીં.
રિયાની એફઆઈઆર અંગે સુશાંતના પરિવારના વકીલે શું કહ્યું?
સોમવારે એનસીબીની પૂછપરછ પૂરી થયા બાદ રિયા પ્રિયંકા વિરુદ્ધ પોતાનું નિવેદન નોંધાવવા માટે મુંબઇના બાંદ્રા સ્થિત પોલીસ સ્ટેશન પહોંચી હતી. તે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં લગભગ પોણા છ કલાક સુધી રહી હતી. રિયાની આ કાર્યવાહી અંગે સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહનું કહેવું છે કે, રિયા આ કેસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. તેમજ રિયાની તાત્કાલિક ધરપકડની માંગ કરી છે.
વિકાસસિંહે કહ્યું – રિયા મુંબઈ પોલીસને આ કેસમાં લાવવા દબાણપૂર્વક પ્રયાસ કરી રહી છે. આ કેસ સીબીઆઈના હાથમાં છે અને મુંબઈ પોલીસ તેમાં કંઈપણ કરવા માટે હકદાર નથી. રિયાની આવી ફરિયાદ કરવી એ આઈપીસીની કલમ 182 નું ઉલ્લંઘન છે. જો રિયાની ફરિયાદ દાખલ કરવામાં આવે તો સુશાંતનો પરિવાર તેના પર કાર્યવાહી કરશે.