મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના 4 મહિના પછી પણ તેના કેસનો નિવેડો આવ્યો ન હતો. આ કેસ સીબીઆઈના હાથમાં છે અને આ કેસને લઇને ભારે ચકચાર મચી ગઈ છે. જ્યારથી આ કેસમાં ડ્રગ એંગલ લેવામાં આવ્યો છે ત્યારથી તપાસ સંપૂર્ણ બદલાઈ ગઈ છે, એવું સુશાંતના પિતા કે.કે. સિંહના વકીલ વિકાસ સિંહનું માનવું છે. જે રીતે સુશાંત કેસમાં બિહારમાં સુશાંતના પરિવાર દ્વારા રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી, તેવી જ રીતે રિયા ચક્રવર્તીએ પણ આ કેસમાં સુશાંતના પરિવાર વિરુદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાવી હતી. આ એફઆઈઆર હવે સીબીઆઈ સુધી પહોંચી ગઈ છે. આ એફઆઈઆર પર પણ ટૂંક સમયમાં કાર્યવાહી થઈ શકે છે. આ અંગે વિકાસસિંહનો જવાબ પણ આવી ગયો છે.
સુશાંતની બહેનો સીબીઆઈ તપાસમાં મદદ કરશે
સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહ મુજબ સુશાંતની બહેનોને પૂછપરછ માટે હજી સીબીઆઈ તરફથી કોઈ સમન્સ મળ્યું નથી પરંતુ જ્યારે પણ સીબીઆઈ તેમને પૂછપરછ માટે બોલાવે છે ત્યારે સુશાંતની બહેનો ત્યાં પહોંચશે અને પૂરો ટેકો આપશે. રિપોર્ટ્સ અનુસાર, રિયા દ્વારા સુશાંતના પરિવાર વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર હવે મુંબઈ પોલીસ દ્વારા સીબીઆઈને સોંપવામાં આવી છે અને સીબીઆઈ બહેનોને સુશાંત સુસાઇડ કેસમાં પૂછપરછ માટે ગમે ત્યારે બોલાવી શકે છે. વિકાસએ કહ્યું છે કે જ્યારે પણ આ કરવામાં આવશે, ત્યારે પરિવાર અને નજીકના લોકો સીબીઆઈને સંપૂર્ણ સહકાર આપશે.