મુંબઈઃ તાઉતે વાવાઝોડું દેશના કાંઠા વિસ્તારના રાજ્યોમાં તબાહી મચાવીને આગળ વધી ગયું છે ત્યારે ફિલ્મનગરી મુંબઈમાં પણ તારાજી સર્જી હતી. તાઉતે વાવાઝોડાના કારણે સામાન્ય માણસથી લઈને મોટા ફિલ્મી સ્ટારને પણ અસર થઈ હતી. બોલિવૂડ અભિનેતા અજય દેવગણની ફિલ્મ મેદાનના સેટ ઉપર તાઉતેએ વિનાશ વેર્યો હતો. મેદાના ફિલ્મના સેટ ઉપર પાણી ભરાવાની સાથે ભારે નુકસાન પહોંચ્યું હતું.
લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, ફિલ્મની શૂટિંગ માટે મુંબઇમાં એક મોટો સેટ લગાવવામાં આવ્યો છે. જે સમયે ટાઉતેએ તબાહી મચાવી હતી તે સમયે સેટ પર આશરે 40 લોકો હાજર હતાં. તમામે સેટને બચાવવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો પણ તેઓ સફળ ન રહ્યાં. અને સેટ સંપૂર્ણ નષ્ટ થઇ ગયો. જોકે, રાહતની વાત એ છે કે, સેટ પર વાવાઝોડાને કારણે કોઇ જાનહાની નથી થઇ પણ સેટ હવે શૂટિંગને લાયક નથી રહ્યો. 16 એકરમાં આ સેટ ફેલાયેલો હતો જેને ટાઉતેએ તબાહ કરી દીધો છે.
ફિલ્મની શૂટિંગ કોલકાતા અને લખનઉમાં પણ થઇ હતી. હવે મુંબઇમાં લોકોએ આ સેટ પર ફૂટબોલની મેચવાળો પાર્ટની શૂટિંગ પૂર્ણ કરવાની હતી. પણ સેટ નષ્ટ થઇ જવા પર ફિલ્મની શૂટિંગને અસર પહોંચે તે નક્કી છે. ફિલ્મ ‘મેદાન’માં અજય દેવગણ સીવાય પ્રયમાણિ અને ગજરાજ રાવ લિડ રોલમાં છે. આ ફિલ્મ વર્ષ 1950થી 1963 સુધી ભારતીય ફુટબોલ ટીમનાં મેનેજર અને કોચ રહેલાં સૈયદ અબ્દુલ રહીમનાં જીવન પર આધારિત છે.
ફિલ્મમાં અજય દેવગણ અબ્દુલ રહીમનાં પાત્રમાં નજર આવે છે. આ ફિલ્મને બોની કપૂર, અરુણવા જોય સેનગુપ્તા અને આકાશ ચાવલા મળીને પ્રોડ્યુસ કરી રહ્યાં છે. જ્યારે અમિત શર્મા તેને નિર્દેશિત કરી રહ્યાં છે. આપને જણાવી દઇએ કે, ફક્ત અજયની જ ફિલ્મ નહીં પણ સલમાન ખાનની ફિલ્મ ટાઇગર-3નાં સેટ પર પણ ટાઉતે ચક્રવાતને કારણે ઘણું નુક્સાન થયું છે.
આ પહેલાં ટીવી શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ..’નાં સેટનો પણ એક વીડિયો સામે આવ્યો હતો જેને પણ ટાઉતેથી ભારે નુક્સાન થયુ હતું. તો, સંજય લીલા ભણસાલીએ ગત વર્ષે જ ચોમાસાની સિઝન પહેલાં તેનાં સેટને કવર કરી લીધો હતો. તેથી તેનો સેટ આ વાવાઝોડામાં પણ બચી ગયો હતો.