નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે દેશમાં લોકડાઉન છે. લોકડાઉનને કારણે રોજિંદા મજૂરોની સ્થિતિ કફોડી થઇ છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસની વચ્ચે રાજ્યોની તરફથી લોકોને સહાય આપવાની જાહેરાતો જારી છે. મંગળવારે (22 એપ્રિલ) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને દૈનિક જરૂરિયાતની વસ્તુઓ આપવાની જાહેરાત કરી છે. દિલ્હી સરકાર તરફથી લોકોને ફ્રી રેશન પહેલાથી જ આપવામાં આવી રહ્યું છે. પરંતુ હવે નવી જાહેરાત કરવામાં આવી છે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકડાઉનને કારણે લોકોના ઘરમાં કમાણી બંધ થઇ ગઈ છે. માત્ર ચોખા અને ઘઉંથી કામ ચાલશે નહીં, 28 – 29 એપ્રિલથી જયારે આગામી મહિનાના રેશનનું વિતરણ શરુ થશે, તો દરેક રેશન સાથે પરિવારને એક – એક કીટ આપવામાં આવશે. તેમાં ખાવાનું તેલ, છોલે, ખાંડ, મીઠું, હળદર, મસાલો અને સાબુ જેવી વસ્તુઓ હશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દૈનિક જીવનની જરૂરિયાતની જે પણ બેઝિક વસ્તુઓ હોય છે, તે આ કીટમાં હશે. આ કીટ તેમને મળશે જે રેશનની દુકાન પર રેશન લેવા આવશે.
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના દરમિયાન ગરીબોને ખાવાની કોઈ તકલીફ ન સર્જાય તે માટે અમે તેની ફૂડ સિક્યુરિટીનો પ્લાન બનાવ્યો છે. 71 લાખ લોકોને અમે 7.5 કિલો પ્રતિ વ્યક્તિના હિસાબે ફ્રી રેશન આપ્યું છે. એવા ઘણા લોકો છે જેમની પાસે રેશન કાર્ડ ન હતા, પરંતુ તેઓ ગરીબ છે અને તેમને પણ રેશનની જરૂર હતી. આવા 10 લાખ લોકો માટે અમે ફ્રી રેશનની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આજે સરકારે આવા વધુ 30 લોકો માટે વ્યવસ્થા કરી છે. તેમણે આગળ કહ્યું કે, અંદાજે 1 કરોડ લોકોને દિલ્હીમાં અમે ફ્રી રેશન આપી રહ્યા છીએ. દિલ્હીની 2 કરોડની વસ્તી છે, તેમાં અંદાજે અડધી વસ્તીને અમે ફ્રી રેશન આપી રહ્યા છીએ.