નવી દિલ્હી : હાલના ડીઝીટલ યુગમાં દરેક વ્યક્તિ સ્માર્ટફોન લેવાનું વિચારે છે. કેટ કેટલાય નવા ફોન માર્કેટમાં લોન્ચ થતા રહે છે. જે વ્યક્તિને ફોન લેવો હોય છે તે કાંતો ઓનલાઇન અથવા માર્કેટની શોપ પર જઈને ખરીદી કરતા હોય છે. અને પોતાનો ફોન સ્માર્ટ હોવાની સાથે એકદમ સુરક્ષિત અને આકર્ષક હોવાની ચકાસણી કરતા હોય છે. આ રીતે જો તમે પણ Oneplus (વનપ્લસ)કંપનીનો સ્માર્ટફોન લેવાનું વિચારી રહ્યા છો ? તો થોભી જાઓ. કેમ કે તાજેતરમાં જ મોબાઈલ ફાટવાની ઘટના સામે આવી છે એ કોઈ બીજી કંપની નહીં પણ વનપ્લસ કંપનીનો સ્માર્ટફોન હતો. આ ફોન પણ એવો હતો જે તાજેતરમાં જ લોન્ચ થયો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ભારે હોબાળો મચ્યો છે.
મળતી માહિતી મુજબ, OnePlus Nord 2 (વનપ્લસ નોર્ડ 2) ગયા મહિને એટલે કે 22 જુલાઈએ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન વિશે ઘણી ચર્ચા છે. તેને વર્ષનો શ્રેષ્ઠ ફોન પણ કહેવામાં આવી રહ્યો છે. પરંતુ એક સમાચારે લોકોને ચોંકાવી દીધા છે. મીડિયાના સમાચાર અનુસાર, એક મહિલા સ્લિંગ બેગમાં નવો વનપ્લસ નોર્ડ 2 ફોન મૂકીને સાઇકલ ચલાવી રહી હતી. પછી ફોનમાં જોરદાર ધડાકો થયો અને તે ફોનની માલિકને આઘાતમાં નાખી દીધી છે. મહિલાના પતિએ ટ્વીટ કરીને લોકોને આ અંગે જાણ કરી હતી. બેંગ્લોરના અંકુર શર્માએ આ મોબાઈલ બ્લાસ્ટ અંગે ફોટો સહીત કંપનીને ટેગ કરીને ટ્વિટ કર્યું હતું. જોકે, હદ તો ત્યારે થઇ ટ્વીટ કર્યાના થોડા સમય બાદ જ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું.
અંકુર શર્માએ ટ્વિટ ભલે ડિલીટ કરી દીધું, પરંતુ વનપ્લસ કંપનીનો તાજેતરમાં જ લોન્ચ થયેલો ફોન બ્લાસ્ટ થવાના આ સમાચાર સ્ક્રીનશૉટના આધારે વાયુવેગે પ્રસરી ગયા. આ ઘટનાને કારણે તેની પત્નીને દુર્ઘટનાનો સામનો કરવો પડ્યો અને જેના કારણે તે આઘાતમાં છે. ટ્વીટ કરનાર યુવક અંકુરની પત્ની પાંચ દિવસ જૂનો વનપ્લસ નોર્ડ 2 સાથે લઈને સાઇકલિંગ માટે ગઈ હતી. ત્યારે ફોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને બાદમાં મોબાઈલ ફાટ્યો હતો. ટ્વિટમાં શેર કરેલી તસવીરો જોઈને સ્પષ્ટ છે કે જ્યારે તે સાઈકલ ચલાવી રહી હતી ત્યારે નોર્ડ 2 ની બેટરી ફાટી હતી.
વાત એટલે અટકતી નથી
મોબાઈલ બ્લાસ્ટ થયો અને મહિલા આઘાતમાં સારી પડી… વાત એટલે જ અટકતી નથી. પરંતુ આ સમાચાર વાયરલ થતા મેદાનમાં આવેલી વનપ્લસ કંપની જાણે આ બ્લાસ્ટ પર પડદો ઢાંકવા માંગતી હોય તેવું લાગી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આગ લાગી હોય તો ધુમાડો તો નીકળવાનો જ હતો પરંતુ આ કંપનીએ કઈંક એવું કર્યું કે તે ધુમાડાને પણ જાણે હવામાં ઉડાવવા માંગે છે. જીહા…. અંકુરે આ ટ્વીટ કરીને તરત જ શા માટે ડીલીટ કરી દીધું ? તેને લઈને અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે. શું કંપનીએ અંકુરને આ ટ્વીટ ડીલીટ કરવાનું કહ્યું? કે પછી ટ્વીટર દ્વારા જ કંપનીના કહેવા પર આ ટ્વીટ ડીલીટ કરવામાં આવ્યું ? સોશિયલ મીડિયા યુઝરના આવા વિવિધ સવાલ જાણે કંપની તરફ શંકાની આંગળી ચીંધી રહ્યા છે.
કંપનીએ આપ્યો આવો જવાબ
વનપ્લસ નોર્ડ 2 સંબંધિત આ પહેલો કેસ સામે આવ્યો છે. અંકુરના ટ્વીટ બાદ કંપનીએ આ મામલાની તપાસ શરૂ કરી છે. ટ્વિટર પર વનપ્લસ સપોર્ટ એકાઉન્ટે લખ્યું, ‘તમારા અનુભવ વિશે સાંભળીને અમને દુ:ખ થયું છે. અમે ચિંતિત છીએ અને તમારા સુધી પહોંચવા માંગીએ છીએ. અમે તમને સીધા સંદેશ પર અમારી સાથે જોડાવા વિનંતી કરીએ છીએ. જેથી અમે તેને તમારા માટે સુધારી અને બદલી શકીએ.’
Hi Ankur. We are gutted to hear about your experience. We are deeply concerned and want to make it up to you. We request you to connect to us over a direct message so that we can make amends and turn this around for you. https://t.co/Y6rHuMwu8J
— OnePlus Support (@OnePlus_Support) August 1, 2021
કંપનીનું આ ટ્વીટ ઈશારો કરી રહ્યું છે કે, અંકુર ડાઇરેક્ટ કંપનીનો સંપર્ક સાધે અને મામલો રફેદફે કરી શકાય. જેથી સોશિયલ મીડિયા કે મીડિયામાં મોબાઈલ બ્લાસ્ટની ગંધ પણ ન આવે. જોકે, મોબાઈલ માલિક સાથે કંપની શું ડીલ કરે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ એ વાત ચોક્કસ છે કે, જો તમે કોઈ ફોન ખરીદવા જઈ રહ્યા છો, તો તેમાં તમારી સુરક્ષાને મોખરે રાખીને પસંદગી કરવી એ જ લાભકારી નીવડશે.
આવા કિસ્સાઓ પહેલા પણ બન્યા છે
અંકુરનું ટ્વીટ ડિલીટ કર્યા પછી, આપણે એ પણ માની શકીએ છીએ કે બંને પક્ષોએ આ બાબતે પરસ્પર સંમતિ કરી લીધી હશે. જો કે, કરારની ચોક્કસ શરતો હજુ સુધી સ્પષ્ટ નથી. આ પહેલી વખત નથી જ્યારે આપણે ફોનની બેટરી ફાટી હોય કે આગ લાગી હોય તેવું સાંભળ્યું હોય. અગાઉ, આપણે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા છે, જેમાં કેટલાક આઇફોન સાથે પણ સંકળાયેલા છે. આ ઘટનામાં સૌથી પ્રસિદ્ધ છે, સેમસંગ ગેલેક્સી નોટ 7 નો કેસ, એ ફોન જે લગભગ ઘણી જગ્યાએ આગનું જોખમ હોવાનું કહેવાય છે અને બાદમાં સેમસંગ દ્વારા આ ફોનનું પ્રોડક્શન બંધ કરવામાં આવ્યું હતું.