ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઇ પટેલની આજે 79મી જન્મજયંતી છે ત્યારે મેરાન્યૂઝ દ્વારા પ્રસ્તુત છે ચીમનભાઇની કેવા રાજકારણી હતાં તેનો એક કિસ્સો.
1990માં જનતાદળ ગુજરાત અને ભાજપ સંયુક્ત રીતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા હતા. ચીમનભાઈ પટેલ જનતાદળ ગુજરાતમાં હતા અને ભાજપના નેતા કેશુભાઈ પટેલ હતા. 1974માં નવનિર્માણ આંદોલનને કારણે ચીમનભાઈ પટેલને સત્તા છોડવી પડી હતી, ત્યારે બાદ 17 વર્ષ બાદ સત્તા મળે તેવો આસાર ચીમનભાઈને મળી રહ્યો હતો. ચીમનભાઈ પટેલ પણ ઉંઝાથી ચૂંટણી લડવાના હતાં.
ઉમેદવારીપત્ર ભરવાના દિવસે ચીમનભાઈ પટેલ વાજતે ગાજતે કાર્યકર સાથે ઉંઝા કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. હાથમાં ઉમેદવારી પત્ર સાથે જેવા ચીમનભાઈ ચૂંટણી અધિકારી સામે ગયા ત્યારે ચૂંટણી અધિકારી દિક્ષિતે ચીમનભાઈ પટેલને વિનંતીસુરમાં આદેશ સાથે કહ્યુ, સર તમારે ફોર્મ ભરવા માટે થોડીવાર રાહ જોવી પડશે, તમારી આગળ બે ઉમેદવાર લાઈનમાં બેઠા છે. ચૂંટણી અધિકારી દિક્ષિતનો જવાબ સાંભળી ચીમનભાઈ પટેલ કંઈ જવાબ આપે તે પહેલા સાથે આવેલા કાર્યકરો ઉછળી પડ્યા. તેમણે દિક્ષિતને ઠપકો આપતા કહ્યુ તમને ખબર છે તમે કોઈની સાથે વાત કરો છે, ચીમનભાઈ પટેલ છે. તમે જેમના માટે ચીમનભાઈ પટેલને બેસાડી રહ્યા છો તે તો અપક્ષ ઉમેદવાર છે.
કાર્યકરો ગુસ્સામાં હતા, પણ ચૂંટણી અધિકારી દિક્ષિતે એકદમ ઠંડા કલેજે જવાબ આપ્યો “હું, ચીમનભાઈ પટેલને ઓળખુ છુ, પણ આજે તે મારા માટે એક ઉમેદવાર છે. તેમની આગળ રહેલા ઉમેદવાર અપક્ષ છે તેની સાથે મારે કોઈ નિસ્બત નથી, મારા માટે તમામ ઉમેદવાર એક સરખા છે.” ચીમનભાઈ જુના રાજકારણી હતા, તેમને સત્તાની તાકાતની ખબર હતી, તેમણે દિક્ષિતને કહ્યુ કઈ વાંધો નહીં, દિક્ષિત તમે સાચા છો, હું મારો નંબર આવે તેની રાહ જોઈશ. ત્યાર બાદ ચીમનભાઈ પટેલનો ક્રમ આવતા તેમણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યાર બાદ ચૂંટણી થઈ, જેમાં કોંગ્રેસની કારમી હાર થઈ અને જનતાદળ-ભાજપની સંયુકત સરકાર બની, જેમાં મુખ્યમંત્રી તરીકે ચીમનભાઈ પટેલ નક્કી થયા હતા.
મુખ્યમંત્રી તરીકે સોંગદ લીધા બાદ જેવા ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રીની ખુરશીમાં બેસતા જ તેમણે મહેસાણા કલેક્ટરને ફોન કરી સુચના આપી કે તમારી ઓફિસમાં ફરજ બજાવતા દિક્ષિતને મારી ઓફિસમાં મોકલી આપો. જ્યારે દિક્ષિતને મુખ્યમંત્રી સામે જવાનો સુચના મળી ત્યારે અંદરથી ધ્રુજી ગયા, તેમણે ઉમેદવારીપત્ર ભરવાના દિવસે થયેલી ઘટના યાદ આવી, તેમણે જેમને રોક્યા હતા તે હવે ગુજરાતની મુખ્યમંત્રી થઈ ગયા હતા. પણ દિક્ષિત મક્કમ મને જે કંઈ પરિણામ આવે તેની તૈયારી સાથે ગાંધીનગર મુખ્યમંત્રીની ઓફિસમાં પહોંચી ગયા.
પણ દિક્ષિતને પ્રથમ આશ્ચર્ય થયુ જ્યારે દિક્ષિત રજા લઈ ચેમ્બરમાં દાખલ થયા તેની સાથે ચીમનભાઈ પટેલે ઉભા થઈ તેમને આવકાર્યા, ત્યાર બાદ બેસવાની સુચના આપી. હજી દિક્ષિતના મનમાં ફફડાટ હતો. ચીમનભાઈ પટેલે, દિક્ષિતની આંખોમાં જોતા પુછ્યુ, દિક્ષિત મારી સાથે કામ કરશો, દિક્ષિત અસંમજસમાં હતા, ચીમનભાઈ તેમની ઉપર નારાજ છે કે ખુશ તેની ખબર પડતી ન્હોતી. પણ પછી તરત ચીમનભાઈ પટેલે જ રહસ્યનો અંત લાવતા કહ્યુ, મારે મારી ઓફિસમાં એક એવા અધિકારીની જરૂર છે જેમાં મને ના પાડવાની હિમંત હોય, મારી પાસે સ્ટાફ તો ઘણો છે, પણ બધા મારી તમામ વાતમાં હા પાડે છે. મને ના પાડનાર એક માણસની જરૂર છે અને મને લાગે છે તેના માટે તમારી કરતાં વધુ કોઈ યોગ્ય માણસ મને મળ્યો નથી.
ત્યાર બાદ ચીમનભાઈ પટેલ મુખ્યમંત્રી રહ્યા ત્યાં સુધી દિક્ષિત મુખ્યમંત્રીના અંગત સ્ટાફમાં ફરજ બજાવતા હતા, આવા પણ રાજનેતા ગુજરાતને મળ્યા હતા, જેમણે પોતાને ના પાડનાર સરકારી અમલદારને માનભેર પોતાની સાથે રાખ્યા હોય. આવા સ્વ. મુખ્યમંત્રી ચીમનભાઇ પટેલની આજે 79મી જન્મજયંતી છે, તેમનો જન્મ સંખેડા ખાતે થયો હતો. ચીમનભાઇનો જન્મ 3 જૂન 1929ના રોજ થયો હતો. જ્યારે 17 ફેબુઆરી 1994માં નિધન થયુ હતું. ચીમનભાઇને સિદ્ધાર્થ પટેલ અને સુહુર્દ પટેલ નામના બે પુત્ર છે.