ગાંધીનગરઃ ગુજરાતમાં રોજેરોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આવી જ એક કમકમાટી ભરી ઘટના ગાંધીનગરના દહેગામ-બાયડ રોડ ઉપર બની હતી. અહીં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કારમાં ભીષણ આગ લાગી હતી. જેમાં બાયડના ડોક્ટર દંપત્તીનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે આગે કાબુમાં લીધી હતી. અને પોલીસે આગળની કાર્યવાહી હાથધરી હતી.
ઘટનાની મળતી માહિતી પ્રમાણે ગાંધીનગરના દહેગામ બાયડ રોડ પર રોયલ સ્કૂલથી લીહોડા ગામ વચ્ચે આજે રવિવારે બપોરના સમયે આઇવા ટ્રક નંબર અને ક્રેટા કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાર રસ્તા પાસે રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. ધડાકાભેર અકસ્માત સર્જાતા કારમાં અચાનક આગ લાગી ગઈ હતી અને ગણતરીની મિનિટોમાં જ આગની જ્વાળાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. કારને ભડભડ સળગતી જોતા પસાર થનારા વાહનચાલકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.
અકસ્માતની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયરના જવાનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આગની જવાળાઓની તીવ્રતાના કારણે કારમાં બેઠેલ દંપતી મૃત્યું નિપજ્યું હતું.
ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ દ્વારા માહિતી મળી હતી કે, બાયડ ચોઇલા રોડ ઉપર આવેલા વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડોક્ટર મયુરભાઈ શાહ તેમજ તેમના પત્ની ડોક્ટર પ્રેરણા શાહ, રવિવારે તેમના પુત્ર ડો. હીમીલભાઈ શાહના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે આઇવા ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત થતાં કારમાં આગ લાગી ગઈ હતી, તેમજ કારના દરવાજા ખૂલી શક્યા ન હોવાથી દંપતીનું કારમાં જ મોત થઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું છે. ગાયનેક ડો. મયુર શાહની પુત્રી પંક્તિ પણ ડોક્ટર છે. અકસ્માતની જાણ થતા તેમનો પુત્ર ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો અને અત્યારે વધુ તપાસ હાથ ધરી દેવાઈ છે.