ગાંધીનગર — કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે ગાંધીનગરને સંપૂર્ણ લોકડાઉન કરી દેવામાં આવ્યું છે. તમામ દુકાનોને બંધ કરી દેવામાં આવી છે. શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટીવના 100થી વધુ કેસો થતાં જિલ્લા કલેક્ટરે આ નિર્ણય લીધો છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટીવના કેસો વધતાં જિલ્લા કલેક્ટર કુલદીપ આર્યએ એક જાહેરનામું બહાર પાડીને 17મી મે સુધી શહેર અને જિલ્લામાં તમામ દુકાનો સંપૂર્ણ બંધ કરવાનો આદેશ કર્યો છે. શહેરના સેક્ટરોમાં પણ સંપૂર્ણ લોકડાઉનનું પાલન કરાવવા પોલીસને સૂચના આપવામાં આવી છે.
તેમણે જાહેરનામામાં જણાવ્યું છે કે ગાંધીનગર શહેર અને જિલ્લામાં માત્ર દૂધ અને દવાની દુકાનો તેમજ હોસ્પિટલ અને દવાખાના ચાલુ રહેશે. બાકીની તમામ દુકાનો બંધ કરી દેવામાં આવશે. આ જાહેરનામાનો અમલ 10મી મે થી શરૂ કરવામાં આવશે જે 17મી મે સુધી ચાલશે.
ગાંધીનગરમાં કલેક્ટરના આદેશને પગલે શહેરમાં કરિયાણાની દુકાનો તેમજ શાકભાજીની દુકાનો તેમજ લારીઓ પર બપોરના સમયે પણ લોકોની ભારે ભીડ જોવા મળી છે. ખરીદી અને જીવન આવશ્યક ચીજવસ્તુ એકત્ર કરવાનો આજે છેલ્લો દિવસ છે. કરિયાણાની દુકાનમાં ચીજવસ્તુઓ તેમજ શાકભાજીની લારીઓમાં શાક ખૂટી પડ્યાં છે. લોકોએ સાત દિવસ માટેનો સ્ટોક કરી દીધો છે.