અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી ભીષણ આગમાં આઠ દર્દીઓના મોતની કરૂણાંતિકાની હજુ શાહી સૂકાઇ નથી ત્યાં વધુ એક ઘટના જામનગરની જી.જી.હોસ્પિટલમાં બની છે. હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી અને દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા માટે દોડધામ થઇ હતી. જો કે સદ્ નસીબે કોઇ જાનહાનિ સર્જાઇ નહતી.
જામનગરની જૂની જીજી હોસ્પિટલના ICU વિભાગમાં ઈકો મશીનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ICU માં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા હોસ્પિટલમાં ચારેતરફ ફરી વળ્યા હતા. તો બીજી તરફ દર્દીઓને તાબડતોડ સુરક્ષિત જગ્યાએ ખસેડાયા હતા. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા. હોસ્પિટલના સ્ટાફ અને સ્થાનિકો દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરાયા હતા.
આગને પગલે જામનગર કલેક્ટર તથા મનપાનું આખુ તંત્ર દોડતું થઈ ગયું હતું. જોકે, 20 થી 25 મિનીટમાં આગને કાબૂમાં લેવાઈ હતી. પરંતુ ત્યા સુધી ભારે અફરાતરફી સર્જાઈ ગઈ હતી.
આગ કયાંથી અને કેવી રીતે લાગી તે દિશામાં હવે પછી તપાસ કરવામાં આવશે. આગ પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતું શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યં છે. આગ કયાંથી અને કેવી રીતે લાગી તે દિશામાં હવે પછી તપાસ કરવામાં આવશે.