અમદાવાદ: સરકાર દ્વારા રૂ.પ૦૦ અને ૧૦૦૦ની નોટ બદલવાને લઇ સિનિયર સિટીઝનોને રાહત આપવામાં આવી છે. માત્ર સિનિયર સિટીઝનો આજે ગમે તે બેન્કમાં જઇ નોટ બદલાવી શકે તેવી જાહેરાતના પગલે આજ સવારથી શહેરની અનેક બેન્કોની બહાર સિનિયર સિટીઝનોની લાઇનો લાગી હતી. ઉપરાંત આજના દિવસ માટે લોકો જે બેન્કમાં ખાતું હોય તે જ બેન્કમાં નોટ બદલાવી શકશે તેવી જાહેરાત કરાતાં લોકો હવે માત્ર તેમની જ બેન્કમાં નોટ બદલાવી શકશે, જોકે સિનિયર સિટીઝનો ગમે તે બેન્કમાં નોટ બદલાવી શકશે. આવતી કાલે બેન્કો અને પોસ્ટ ઓફિસ બંધ હોવાના કારણે લોકોએ માત્ર એટીએમ પર નિર્ભર રહેવું પડશે.
આજ સવારથી જ મોટા ભાગની બેન્કોની બહાર સિનિયર સિટીઝનોની લાઇન જોવા મળી હતી. ઉપરાંત જે બેન્કમાં ગ્રાહકનું ખાતું હોય તે જ બેન્કમાં ગ્રાહકો પોતાની નોટ બદલાવી શકે તેવી જાહેરાતના પગલે લોકો પોતાની બેન્કોમાં નોટ બદલાવવા પહોંચી ગયા હતા. લોકોએ રાબેતા મુજબ બેન્કમાં પોતાની પૈસા પણ જમા કરાવ્યા હતા. જોકે કેટલીક બેન્કોમાં કેશ નહીં હોવાની ફરિયાદો અાજે પણ ઉઠી હતી. આવતી કાલે બેન્કો બંધ રહેવાના કારણે પૈસા ઉપાડવાનો વિકલ્પ એટીએમ છે, જેથી એટીએમ ઉપર લોકોનો ભારે ધસારો જોવા મળે તેમ લાગી રહ્યું છે, જોકે એટીએમમાં પૈસા ખૂટી જવાના કારણે લોકોને હેરાન-પરેશાન થવું પડી રહ્યું છે. હજુ પણ મોડી રાત સુધી એટીએમની બહાર લાઇન જોવા મળે છે. બેન્ક દ્વારા જે પણ કેશ એટીએમમાં ભરાય છે તે પણ તાત્કાિલક ખાલી થઇ જાય છે.