નાણાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ પહેલા ચાર દિવસોમાં (૧૦ નવેમ્બરથી ૧૩ નવેમ્બર સુધી) કુલ ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની નવી નોટ (૧૦૦ અને ૨,૦૦૦ રૂપિયા) એકસચેન્જ કરીને લોકોને અપાયા છે. આ નોટ તેમણે એટીએમ કે પોતાના એકાઉન્ટમાંથી કાઢી છે અથવા તો બેંક અને પોસ્ટ ઓફિસ જઈ જૂની નોટોને બદલીને લીધી છે.
આ રીતે બેંકિંગ પ્રણાલીમાં કુલ ૧૮ કરોડ લેણ-દેણ કરાયા. તેમ છતાં લોકો એટીએમ અને બેંકની લાઈનમાં ઊભેલા જોવા મળી રહ્યા છે અને કેશ પૂરી થઈ રહી છે. એ ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ)ના એ આશ્વાસનને અનુરૂપ પણ નથી, જેમાં તેણે પૂરતા પ્રમાણમાં રૂપિયા હોવાની વાત કહી હતી.
આ સ્થિતિ ત્યારે છે, જયારે આરબીઆઈના પ્રિન્ટિંગ પ્રેસે થોડા દિવસ પહેલા જ નવી નોટ છાપવાનું શરૂ કર્યું હતું. તેની સાથે જ જો એમ માની લેવામાં આવે કે રોજ ૨,૦૦૦ રૂપિયાના નોટના રૂપમાં ૧૨,૫૦૦ કરોડ રૂપિયાની રકમ વિતરણ કરવામાં આવી રહી છે, તો પણ નાણાંકિય પ્રણાલીમાં અમાન્ય જાહેર કરાયેલી રકમ જેટલા રૂપિયા સુધી પહોંચવા ૧૧૬ દિવસ લાગશે.
તેમાં એમ પણ માનવામાં આવ્યું છે કે, જેટલી રકમ ગેરકાયદે થઈ ચૂકી છે, એ બધી રકમને નવી નોટોમાં બદલવામાં આવશે. કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડના અધ્યક્ષના ૨૦૧૨માં જારી ‘ભારત અને વિદેશમાં કાળા નાણાંથી નિપટવાના ઉપાય’ના ૧૦૯ પાનાના રિપોર્ટમાં કહેવાયું હતું કે, ‘લોકોની મુખ્ય માંગ છે કે ઉચ્ચ મૂલ્યની નોટ ખાસ કરીને ૧૦૦૦ રૂપિયા અને ૫૦૦ રૂપિયાની નોટો પાછી લેવામાં આવે. પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, વિમુદ્રીકરણથી કાળા નાણાંની સમસ્યાનું સમાધાન નથી આવતું. કેમકે મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ, સોનાની લગડી અને આભૂષણના રૂપમાં હોય છે.’
તેમાં વધુમાં કહેવાયું કે, આવા કોઈ પગલાંની ઉલટી અસર થાય છે. તેમાં નોટ છાપવાના ખર્ચનો બેંકિંગ પ્રણાલી પર ખરાબ પ્રભાવ પડે છે, ખાસ કરીને વિતરણના મુદ્દાને લઈને. રૂપિયાને લાવવા-લઈ જવા એક મુશ્કેલ પ્રક્રિયા છે. વિમુદ્રીકરણથી જનતાને અગવડ પડે છે અને દેનિક મજૂરીનું વિતરણ પ્રભાવિત થાય છે. તેમાં કહેવાયું હતું કે, ‘પહેલા પણ ૧૯૪૬ અને ૧૯૭૮માં વિમુદ્રીકરણ કરાયું હતું. જે ખરાબ રીતે નિષ્ફળ રહ્યું હતું અને ૧૫ ટકાથી પણ ઓછી નોટો બદલવા આવી હતી. તેમાંથી ૮૫ ટકા નોટ કયારેય બહાર આવી જ નહીં, કેમકે તેમના માલિકોને સરકારી એજન્સી દ્વારા કાર્યવાહીનો ડર હતો.’