[highlight]કેન્દ્રએ ૫૬.૯૬ કરોડની ગ્રાન્ટ આપી એમાંથી બાકી લોનના નાણા બાદ થતા ૩૭.૯૭ કરોડ જ વધ્યા[/highlight]
રાજ્ય સરકાર એક તરફ પ્રચારલક્ષી કાર્યક્રમોમાં બેફામ ખર્ચ કરી રહી છે. બીજી તરફ મનરેગા હેઠળના જરૂરી નાણા ચુકવવાની તકલીફ છે. આર્થિક કટોકટી થતા સરકારે મનરેગાનું અમુક પ્રકારનું ચુકવણુ કરવા પર પ્રતિબંધ મુકયો છે. આ અંગે અધિક ગ્રામ વિકાસ કમિશ્નર એસ.એમ.પટેલની સહીથી ત્રણ દિવસ પહેલા તમામ જીલ્લાના કાર્યક્રમ કો.ઓર્ડીનેટર અને નિયામકને પત્ર પાઠવવામાં આવ્યો છે.
પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે હાલ મનરેગા યોજનાના SEGF એકાઉન્ટમાં ખુબ સીમિત ફંડ ઉપલબ્ધ છે. ભારત સરકાર તરફથી હાલ પ્રથમ હપ્તાથી ગ્રાન્ટ માલસામાન અને વહીવટી ખર્ચના ચુકવણા અન્વયે માત્ર રૂપિયા ૫૬.૯૬ કરોડની જ ગ્રાન્ટ મળેલ છે જેમાંથી ગુજરાત સરકારને ગત વર્ષે લીધેલ બાકી લોન પેટે ૫૦% રકમ સરભર કરતા માત્ર ગ્રાન્ટ રૂપિયા ૩૭.૯૭ કરોડ જ ઉગવી શકાય એમ છે. તમામ જીલ્લાઓને જાણ કરવામાં આવે છે કે હાલ રૂરલ સેનિટેશનના કામો (IHHL)ને લગત માલસામાનના અને વ્યકિતગત કામોના ચુકવણા સિવાય કોઇપણ કાર્ય માટેના મટીરિયલના ચુકવણા કરવા નહીં. અન્ય ચુકવણા ફરીથી શરૂ કરવા માટે અત્રેથી સુચના આપવામાં આવશે. IHHL અને વ્યકિતગત કામો સિવાયના મટીરીયલના ચુકવણા ન થાય તે અંગેની સંપૂર્ણ જવાબદારી જીલ્લાના નિયામક અને ચુકવણા કરનાર અધિકારી, કર્મચારીઓની રહેશે.