અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં ફરી એક વાર મોટું ભંગાણ જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનમાં મુસ્લિમો દ્વારા વિપક્ષ નેતા પદની માંગણી કરવામાં આવી રહી છે અને આના કારણે એક જૂથ દ્વારા સતત મુસ્લિમને નેતા વિપક્ષ બનાવવા માટે સતતને સતત રજૂઆત કરવામાં આવી રહી છે.
હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિપક્ષી નેતાનું પદ ખાલી છે અને પાછલા એક વર્ષથી આ પદ પર કોંગ્રેસ દ્વારા કોઈ નવી નિમણૂંક કરવામાં આવી નથી. કોંગ્રેસે વિપક્ષી નેતાની પસંદગી કરવા માટે કમિટી બનાવી હતી. કમિટીએ કોઈ નિર્ણય નહીં લેતા આખરે કોર્પોરેટરો રાજશ્રી કેસરી, કમળાબેન ચાવડા સહિતના 14 કોર્પોરેટરો કોંગ્રેસ ભવન પહોંચ્યા હતા.
રાજીનામા આપનારા કોર્પોરેટરોમાં કમળાબેન ચાવડા, માધુરી કલાપી, રાજશ્રી કેસરી, કામિનીબેન ઝા, હાજી મિર્ઝા, જમના વેગડા, નીરવ બક્ષી, ઈકબાલ શેખ, તસલીમ તિરમીઝી, ઝુલ્ફી ખાન પઠાણનો સમાવેશ થાય છે.
કોંગ્રેસના વર્તુળો જણાવ્યા મુજબ પાર્ટીએ પાંચ વર્ષ માટે અલગ અલગ રીતે કોર્પોરેટરોને વિપક્ષી નેતા બનાવવાનો નિર્ણય કર્યો હતો. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે એક નેતાને સાચવવા માટે કોંગ્રેસ શહેઝાદ ખાનને વિપક્ષી નેતા બનાવવાની વિચારણા કરવામાં આવી રહી છે તેના વિરોધમાં કોર્પોરેટરોએ કોંગ્રેસ પ્રદેશ સમિતિ અને અમદાવાદ કોંગ્રેસ સમક્ષ પોતાના રાજીનામા ધરી દીધા છે.