રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આગામી તા. ૩ મે સુધી સમગ્રતયા દુકાનો ચાલુ કરવા દેવાશે નહિ. એવો રૂપાણીએ આદેશ તો આપ્યો પણ દુકાનો ઘણી જગ્યાએ આ મહાનગરોમાં ખૂલી હતી. મોલ પણ ખુલ્લા હતા.
રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા પછી મ્યુનિસિપલ કમિશનરો અને કલેકટરોએ સંયુકત પણે નિર્ણય કર્યો હતો કે, પ્રવર્તમાન પરિસ્થિતીમાં આગામી તા. ૩ મે સુધી આ ચાર મહાનગરોમાં દુકાનો બંધ રાખવામાં આવશે.
લોકડાઉનના સમય દરમ્યાન આ મહાનગરોમાં અગાઉ ચાલુ રહેલી જીવનજરૂરી ચીજવસ્તુઓ દૂધ, કરિયાણું, શાકભાજી અને અન્ય આવશ્યક વસ્તુઓ, દવાઓની દુકાનો જ માત્ર ચાલુ રાખવા દેવાનું નક્કી કરાયું હતું.
રાજ્યમાં અન્ય જે વિસ્તારો-જિલ્લાઓમાં રવિવાર તા.ર૬ એપ્રિલથી ધંધા-વ્યવસાયો શરૂ કરવાની રાજ્ય સરકારે જે છૂટછાટો આપી છે તેમાં પણ મોલ-માર્કેટીંગ કોમ્પલેક્ષ, હેર કટીંગ સલૂન-બ્યૂટીપાર્લર, પાન-ગુટકા-બીડી-સીગારેટનું વેચાણ કરતી દુકાનો, ટી સ્ટોલ કે હોટેલ રેસ્ટોરન્ટ ચાલુ કરી શકાશે નહિ. પણ આ સ્થળો પણ ઘણી જગ્યાએ ખૂલ્લા રહ્યાં હતા.
ટેક્ષી સેવાઓ, રિક્ષા સેવાઓ ઉબેર કે અન્ય બસ સેવાઓ પણ રાજ્યમાં શરૂ થશે નહિ.
રાજ્યમાં ૬૬ લાખ અંત્યોદય અને PHH પરિવારોને વિનામૂલ્યે વ્યકિત દિઠ સાડા ત્રણ કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિતરણની રાજ્ય સરકારની યોજના અન્વયે અત્યાર સુધીમાં ૧પ લાખ કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે. તે માંડ 25 ટકા જ છે.
આવા NFSA લાભાર્થીઓને તા. રપ એપ્રિલથી આ અનાજ વિતરણ કરવાનો જે આરંભ થયો છે તેના બીજા દિવસે રવિવારે તા. ર૬ એપ્રિલે પાંચ લાખ લોકોએ લાભ મેળવ્યો છે.
આ અનાજ વિતરણ અન્વયે અત્યાર સુધીમાં કુલ ર૬,રપ૦ મે.ટન ઘઉં અને ૧૧રપ૦ મે.ટન ચોખાનું ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં નિર્માણાધિન બાંધકામ પ્રોજેકટસ ચાલુ રાખવાની રાજ્ય સરકારે આપેલી પરવાનગી અન્વયે મહાનગરોમાં પ૯૮ વિવિધ સરકારી કામોના બાંધકામ પ્રોજેકટસમાં ર૦,૬૦૦ શ્રમિકોને રોજગારી મળી રહી છે.
ખાનગી ક્ષેત્રના ૭૩ પ્રોજેકટસમાં ૭પ૦૦ શ્રમિકોને કામ મળ્યું છે તથા સરકારના નિયમાનુસાર આવા શ્રમિકોની રહેવા-જમવાની વ્યવસ્થા સાઇટ પર ઇન-સી-ટુ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં ૬ લાખ ૮૯ હજાર કવીન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે. આ ખેત ઉત્પાદનોમાં મુખ્યત્વે ઘઉં ૩,૪૮,૦૪ર કવીન્ટલ, એરંડા ૧,૮૯,પ૬૭ કવીન્ટલ અને રાયડો ૩૬,૦૯પ કવીન્ટલનો સમાવેશ થાય છે.
રવિવારે સવારે ૧ લાખ ૧૪ હજાર પ૪૧ કવીન્ટલ શાકભાજીની તેમજ ૧૩,રપપ કવીન્ટલ ફળફળાદિની આવક થઇ છે.