ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ હતી. આવી કપરી પરિસ્થિતિમાં હાલની સ્થિતિએ કોઈ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી. જોકે રાજ્ય સરકાર દ્વારા 6 મોટા શહેરોમાં 11 એપ્રિલથી લોકડાઉન થવા મુદ્દે આજે સોશિયલ મીડિયામાં એક બનાવટી પત્ર ફરતો થયો છે. આ બનાવટી પત્ર માં કોઈ જ સત્યતા નહી હોવાનો ખુલાસો રાજ્યના ગૃહ વિભાગે કર્યો છે.
ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ તરફથી આપત્કાલીન નોંધ સ્વરૂપે સોશિયલ મીડિયામાં ફરતો થયેલો પત્ર તદ્દન ફેક અને ખોટો છે. આ પત્રથી ગુજરાતના નાગરિકો ગેરમાર્ગે ન દોરાય. આ પત્રમાં કોઇ જ સત્યતા નથી.
નાગરિકોને ગેરમાર્ગે દોરવાનો નીંદનીય પ્રયાસ માત્ર છે. રાજ્ય સરકારના ગૃહવિભાગના પ્રવક્તાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, ગુજરાતના છ મોટા શહેરોમાં તારીખ 11 એપ્રિલથી તારીખ 17મી એપ્રિલ સુધી રાજ્ય સરકારે સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો છે એવો આ પત્રમાં ઉલ્લેખ છે જે બિલકુલ અસત્ય અને ખોટો છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના નામજોગ અને ખોટી સહી સાથેનો આ પત્ર તદ્દન ખોટો અને ફેક છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આવા પત્રને સાચો નહીં માનવા અને ગેરમાર્ગે નહીં દોરાવા ગુજરાતના નાગરિકોને અપીલ કરવામાં આવી છે.
આ પત્ર કોણે વાયરલ કર્યો છે તે અંગેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. આવો કોઈ પણ પત્ર સોશિયલ મીડિયા મારફતે આપના સુધી આવે તો તેને વાયરલ નહીં કરવા પણ નાગરિકોને અનુરોધ કરવામાં આવે છે. પંકજ કુમાર પોતે કોરોના સંક્રમિત હોવાથી હાલ રજા પર છે. તેઓએ પણ ટ્વીટ દ્વારા ખુલાસો કર્યો છે તે તેમની સહીથી ફરતો થયેલો આ પત્ર સાચો નથી.