બનાસકાંઠાઃ બનાસકાંઠના મોટા જામપુર ગામમાં રવિવારનો દિવસ બે પરિવાર માટે કાળો દિવસ બની ગયો હતો. રવિવારે સાંજના સમયે ખેતર માલિક અને તેમના ભાગીદાર ખેતરમાં રહેવા બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થવાના કારણે સાફસફાઈ કરવા માટે ઉતર્યા હતા. જોકે, કૂવામાં ઓક્સિજનની અછતના કારણે શ્વાસ રૂંધાતા બંનેનું મોત નીપજ્યું હતું. પોતાના સ્વજનો ગુમાવ્યા બાદ બંને પરિવારો ઉપર આભ તૂટી પડ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગળની કાર્યવાહી હાથધરી હતી.
ધટના અંગે મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મોટા જામપુર ગામ ખાતે રવિવારે રાત્રે બાયોગેસના કૂવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા ખેતર માલિકના પુત્ર અને ભાગીદારનું કરુણ મોત નીપજયું હોવાની ઘટના સામે આવી છે. મોટા જામપુર ખાતે રગનાથભાઇ ચૌધરીએ તેમના ખેતરમાં બાયોગેસ પ્લાન્ટ બનાવ્યો છે. તેમનો પુત્ર આનંદ ચૌધરી આ બાયોગેસના કુવામાં ગત મોડીરાત્રે સફાઈ માટે ઉતાર્યો હતો. તે સમયે ગેસ ગળતર થતાં ગૂંગળામણના કારણે તેનું કૂવામાં જ મોત નીપજ્યું હતુ.
જોકે, મોડે સુધી બહાર ન આવતા ભાગીદાર તરીકે કામ કરતાં સુંધાજી ઠાકોર પણ કૂવામાં ઉતર્યા હત. તેમનું પણ બાયોગેસનાં કૂવામાં ગૂંગળામણથી મોત થયું હતું. કલાકો સુધી આ બંને બહાર ન આવતા આખરે આજુબાજુના લોકો પણ તેમને જોવા માટે કૂવામા ઉતર્યા હતા. જેથી ગેસ ગળતરના કારણે અન્ય 4 લોકો પણ અસરગ્રસ્ત થયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો અને શિહોરી પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જે બાદ બંને મૃતકોની લાશને પીએમ અર્થે ખસેડી હતી. જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્ત અસરગ્રસ્ત લોકોને સારવાર માટે રાધનપુર ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. મોડી રાત્રે બનેલી આ દુર્ઘટનાને કારણે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જ્યારે ખેતર માલિક અને ભાગીદાનું મોત નીપજવાથી ગામ તથા પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.