બનાસકાંઠાઃ બનાસકાંઠા જિલ્લામાં આવેલા જંગલ વિસ્તારોમાં રીંછનો વસવાટ છે. પરંતુ રીંછ ક્યારેક જંગલમાંથી બહાર નીકળીને ગામ સુધી પહોંચી જતા હોય છે અને ક્યારેક માણસો ઉપર હુમલાઓ પણ કરતા હોવાની અનેક ઘટનાઓ બની હતી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠાના જિલ્લાના ડિસા તાલુકાના થેરવાડા ગામમાં વહેલી સવારે એક ખેતરમાં રીંછ દેખાતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો.તેમજ બે લોકો પર રીંછે હુમલો કરતા ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણકરતા ફોરેસ્ટ વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ રીંછ ફોરેસ્ટ વિભાગ પાંજરે પુરાયું હતું.
મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે અને ઉનાળાની શરૂઆત સાથે જ જંગલ વિસ્તારમાં પણ પાણી અને ખોરાકની અછત સર્જાતા જંગલી પ્રાણીઓ તેની શોધમાં જંગલ છોડી માનવ વસવાટ તરફ આવતા હોય છે.જેમાં આજે ડીસા તાલુકાના થેરવાડામાં એક ખેડૂતના ખેતરમાં વહેલી સવારે રીંછ દેખાતા ગામમાં ભયનો માહોલ છવાયો હતો.
રીંછના સમાચાર મળતા જ આજુબાજુના લોકોના ટોળા રીંછ ને જોવા ઉમટી પડ્યા હતા.તેમજ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગ ટીમ પણ રીંછને પકડવા પાંજરૂ લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અલગ અલગ ટિમો બનાવી ફોરેસ્ટ વિભાગે રીંછને પકડવા માટે કવાયત હાથ ધરી હતી.
તે દરમિયાન પકડવા જતા વિફરેલા રીંછે બે લોકો પણ જીવલેણ હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આખરે ભારે જહેમત બાદ ફોરેસ્ટ વિભાગની ટીમે રીંછ ને પકડી પાંજરે પુર્યું હતું. રીંછ પાંજરે પૂરતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.