Valsad: આજે વર્તમાન સમયમાં જયારે વિદ્યાર્થીઓ કે યુવાનો હતાશ જોવા મળે છે ત્યારે તેમને સમજવાની ખુબ જરૂર હોય છે. સમાજમાં પરિવર્તનની જે ઝડપ જોવા મળે છે તે અગાઉ ક્યારેય પણ જોવા મળી નથી. નાના બાળકોથી લઇ કોલેજમાં અભ્યાસ કરતા યુવાનો સુધી આ સામાજિક પરિવર્તનના શિકાર થયેલ જોવા મળે છે. સાચા અર્થમાં કહેવું હોય તો સોસીયલ મીડિયાના અજગર ભરડામાં તેઓ સપડાયેલ છે. તેઓ માતાપિતાની આજ્ઞાનું પાલન બિલકુલ કરતા નથી. નાની નાની વાતમાં ગુસ્સે થઇ જાય છે અને કેટલીક વખત તો તેઓ ઘરમાં રહેલી વસ્તુઓ કે વ્યક્તિઓને નુકસાન પહોચાડે છે. જરા નિષ્ફળતા મળે તો તેને પચાવીને જીવનમાં આગળ વધવાને બદલે તેઓ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી નાખે છે અથવા ટૂંકાવી નાખતાં પણ ખંચકાતા નથી.
સમાજની આ ગંભીર સમસ્યાથી બાળકો અને યુવાનો બહાર લાવવાનું કામ વલસાડની ખ્યાતનામ વ્યક્તિઓએ હાથ પર લીધું છે
ડો. શ્રીકાંત કનોજીયા, ડો. નાઇલ દેસાઈ અને ડો. દીપેશ શાહ આ કાર્ય છેલ્લા દસ વર્ષથી પણ વધુ સમયથી કરી રહ્યા છે.
તેઓ આ સેવા ફક્ત ગુજરાતમાં જ નહિ ગુજરાતની બહારના રાજ્યોમાં પણ આપી રહ્યા છે. તેઓ માને છે કે શિક્ષણથી જ સમાજની બદીઓ દુર કરી શકાય છે તેથી તેઓ સ્કૂલો અને કોલેજોમાં બાળકો સાથે જુદા જુદા વિષય પર સેમીનાર અને ટ્રેનીંગ મારફતે તેમને શિક્ષિત કરવાનું કાર્ય કરી રહેલ છે. હવે તેઓ સ્કુલ અને કોલેજના શિક્ષકોને પણ તાલીમ આપવાનું કાર્ય કરી રહેલ છે જેથી શિક્ષકોનું વર્તન પણ વિદ્યાર્થીઓ સાથે બદલાય અને વિદ્યાર્થી તેમજ શિક્ષકો વચ્ચે પણ એક સમજણનો સેતુ બંધાય. પેરેન્ટિંગના સેમીનાર થકી તેઓ પેરેન્ટ્સને પણ સમજણ આપે છે કે આજના સમયમાં બાળકો સાથે કેવી રીતે કામ લેવું જોઈએ.
આ વ્યક્તિઓની સેવા ફક્ત વિદ્યાર્થીઓ, શિક્ષકો કે માતાપિતા સુધી મર્યાદિત ન રહેતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓ સુધી પણ પહોંચી ગઈ છે.
તેઓ માને છે કે આ સેવા એક દિવસ ચોક્કસ સામાજિક પરિવર્તન લાવશે. અત્યાર સુધીમાં લાખોની સંખ્યામાં તેમની ટ્રેનીંગનો લાભ સમાજના વિવિધ લોકોએ લઇ લીધો છે. તેમણે આપેલ ટ્રેનીંગની સંખ્યા પણ હજારોમાં નોંધી શકાય છે. તેઓ ટ્રેનીંગ આપી શકે તેવી ભવિષ્યની ટીમ પણ તૈયાર કરી રહ્યા છે જેમાં હેલી કનોજીયા, કિશોર તોલાની, અંકિતા દેસાઈ અને પૂર્વી તોમરનો સમાવેશ થાય છે.
આશા રાખીએ કે સામાજિક સુધારા માટે વલસાડના આ વ્યક્તિઓની નોંધ સમાજ લેશે અને તેમના યોગદાનની વલસાડના ઈતિહાસમાં યોગ્ય સમયે નોંધ લેવાય.