ગાંધીનગરઃ તોકતે વાવાઝોડું તીવ્ર ગતિથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે તંત્ર પણ આફસ સામે લડવા માટે સજ્જ થયું છે. આવી સ્થિતિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમગ્ર વાવાઝોડા ઉપર ધ્યાન રાખી રહ્યા છે. સંભવિત વાવાઝોડા સામે તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે સીએમ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં એક બેઠક યોજાવવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આજે ગુજરાતમાં વાવાઝોડું ત્રાટકશે અને તે માટેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
CM વિજય રૂપાણીએ વાવાઝોડાની પૂર્વ તૈયારીઓ અંગે જણાવ્યું કે, હવામાન વિભાગની સ્પષ્ટ આગાહી છે કે, આજે સાંજે એટલે આઠ વાગ્યા પછી ગુજરાતમાં ગમે ત્યારે વાવાઝોડું ત્રાટકશે. તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ભારે વરસાદ અને પવનને કારણે દરિયાકાંઠે રહેતા કાચા મકાનમાં રહેતા તથા અન્ય લોકોનું સંથળાંતર કરવાનાં આદેશો અપાઇ ગયા છે. આ અંગેની કામગીરી ચાલી રહી છે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, રાજ્યની તમામ કોવિડ હૉસ્પિટલો જ્યાં આ વાવાઝોડાની અસર નહીં થાય ત્યાં પણ આદેશ આપવામાં આવ્યાં છે કે, ઇલેક્ટ્રિસિટી બેકઅપ તૈયર કરી લે. તમામ હૉસ્પિટલોમાં વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટેની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. વીજકંપનીઓનાં કર્મચારીઓની 661 ટીમ ગોઢવવામાં આવી છે. આ સાથે પાવર બેકઅપ આશરે 1428 જગ્યાએ ઉભા કરવામાં આવ્યાં છે. એક મિનિટ પણ કોઇપણ હૉસ્પિટલ પાવર વગર ન રહે તે માટેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.