ગાંધીનગરઃ કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે તોકતે વાવાઝોડાએ દરિયાકાંઠો ઉપર ભારે તબાહી મચાવી હતી. ત્યારે માછીમારો અને સાગરખેડૂઓની સ્થિતિ દયનિય બની હતી. આવી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માછીમારો અને સાગરખેડૂઓ માટે મોટી જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં તૌક્તે વાવાઝોડાના કારણે અસરગ્રસ્ત માછીમારો-સાગરખેડૂતો અને 105 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઇ ચાવડા અને મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, એસી.એસ. પંકજકુમાર અને વરિષ્ઠ સચિવોની ઉપસ્થિતિમાં મત્સ્યોદ્યોગ અને પશુપાલન સચિવ નલિન ઉપાધ્યાય અને કમિશ્નર ડી.પી.દેસાઇએ આ કોર કમિટીમાં રજૂ કરેલા વિસ્તૃત પ્રેઝેન્ટેશનની વિવિધ બાબતોનો અભ્યાસ કરીને આ રાહત પેકેજ જાહેર કર્યું છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સાગરખેડૂ-માછીમારોને તૌક્તે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂર્ન:બેઠા કરવા અને પૂર્વવત કરવાની સંપૂર્ણ સંવેદનાથી રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર આટલું વિશાળ 105 કરોડ રૂપિયાનું ઉદારતમ પેકેજ સરકારે જાહેર કર્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ દરિયાકાઠાંના અસરગ્રસ્ત વિસ્તારોની તેમની પોતાની મુલાકાત દરમ્યાન પણ અનેક સાગરખેડૂ પરિવારોએ તૌક્તે વાવાઝોડાને કારણે તેમનો આજીવિકાનો આધાર એવી મત્સ્ય પ્રવૃતિઓ માટેના મુખ્ય આધારસ્તંભ એવી ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને થયેલા મોટા નુક્શાનની વાત કરી હતી. વાવાઝોડાના કારણે ઉભા પાકને નુકશાન થવાના કારમે અગાઉ પણ રાજ્ય સરકારે ખેડૂતોની સહાય માટે 500 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ જાહેર કરેલી રાહત કઈ રીતે મળશે?
– અંશત નુકશાન પામેલ નાની બોટના કિસ્સામાં 50% અથવા રૂ. 35,000 સહાય બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થશે
– જો નાની બોટ પૂર્ણ નુકશાન પામી હશે તો આવી બોટની કિંમતના 50% અથવા 75,000 બેમાંથી જે ઓછુ હોય તે આપવામાં આવશે.
– અંશત નુકશાન પામેલ ટ્રોલર, ડોલનેટર, ગીલ નેટર બોટના કિસ્સામાં 50% અથવા 2 લાખ બેમાંથી જે ઓછુ હોય તે ઉચ્ચક સહાય અપાશે.
– આ ઉપરાંત રૂપિયા 5 લાખ સુધીની લોન કોઇ માછીમાર લે તો તેના પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે
– પૂર્ણ નુકશાન પામેલ ટ્રોલર,ડોલનેટર,ગીલ નેટર બોટના કિસ્સામાં તેની કિંમતના 50 ટકા અથવા રૂપિયા 5 લાખ બેમાંથી જે ઓછું હશે તે ઉચ્ચક સહાય રાજ્ય સરકાર આપશે.
– આ ઉપરાંત રૂપિયા 10 લાખ સુધીની લોન પર 10 ટકા સુધીની વ્યાજ સહાય 2 વર્ષ માટે ઘટતી જતી બાકી રકમ પર રાજ્ય સરકાર આપશે.
– ઈનપુટ સબસીડી મત્સ્ય બીજ,ફીડ, સાધન સામગ્રી માટે હેક્ટર દીઠ રૂપિયા 8200 પ્રમાણે સહાય અપાશે