ગાંધીનગરઃ અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે ત્યારે સરકાર દ્વારા ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારીને કોરોના ગાઈડલાઈનના પાલન માટે કડકાઈ દેખાડી છે. જોકે, આવી સ્થિતિ વચ્ચે ગુજરાતના લોકોમાં ફરીથી લોકડાઉન થવાની શક્યાતોઓ અંગે ભય ફેલાયેલો છે. લોકડાઉનના ઉઠતા પ્રશ્ન અંગે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ચોખવટ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.
લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, 104, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.
મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.
બે દિવસ પહેલાં પણ મુખ્યમંત્રી રૂપાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાલમાં લૉકડાઉન કરવાની કોઈ વાત નથી. સરકારે આઠ મહાનગરપાલિકાઓમાં સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેને પગલે 10 એપ્રિલ સુધી સ્કૂલ અને કોલેજોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં 24 કલાકમાં 1415 નવા કેસ 4 મહિના બાદ ગુજરાતમાં 1415 કેસ શુક્રવારે 24 કલાકની અંદર નોંધાયા હતા. આ સાથે જ રાજ્યમાં કુલ 2,83,864 કેસ થયા છે અને 2,72,332 ડિસ્ચાર્જ થયા છે. અગાઉ 20 નવેમ્બરે 1420 કેસ નોઁધાયા હતા, જ્યારે 948 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. અમદાવાદ, રાજકોટ અને સુરત કોર્પોરેશન વિસ્તાર તથા સુરેન્દ્રનગરમાં 1-1 મળી કુલ 4 દર્દીનાં મોત સાથે મૃત્યુઆંક 4,437 થયો છે. 13 જાન્યુઆરી બાદ પહેલીવાર રાજ્યમાં 4 દર્દીનાં મોત થયાં છે.