છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાત કોંગ્રેસમાંથી સેંકડો નેતાઓને ભાજપને પોતાની ટોપી પહેરાવી દીધી છે, અને હજુ પણ અમુક નેતાઓના નામો ચર્ચામાં છે કે તેઓ પણ ટોપી પહેરીને ભાજપમાં ભળશે.. તો સામે પક્ષે સત્તાધારી ભાજપ નાનું નાનું કામ કરીને પોતાની રણનીતિના આધારે અત્યારે ચુંટણી પ્રચારઅર્થ ઉતરી ચૂકી છે.
આ સમગ્ર પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ હવે ચુંટણી જંગમાં ટકી રહેવા માટે મરણિયા પ્રયાસો કરવાની તૈયારીમાં હોય તેવું દેખાઈ રહ્યું છે, અને આ દરેક કોંગ્રેસ નેતાઓ અને કાર્યકર્તાઓમાં નવા પ્રાણ ફૂંકવા માટે હવે રાજસ્થાનથી મુખ્યમંત્રી અશોક ગેહલોતને બોલાવવા પડ્યા છે.
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતની મુલાકાતે આવેલા, રાજ્યના દરેક જિલ્લાઓમાંથી કોંગી નેતાઓનો જમાવડો એકઠો કરીને બે નવા સૂત્રો આપીને રાજસ્થાન રવાના થયેલા છે, જેમાં કોંગ્રેસે કરેલા વિવિધ રાજ્યોના કામોનું ગણિત આપતા “કોંગ્રેસનું કામ બોલે છે” અને ગુજરાત સરકારને વેધક સવાલો પૂછતાં છેલ્લા પાંચ વર્ષોના હિસાબ માંગતા “બોલો સરકાર” નામથી ગુજરાત કોંગ્રેસના નેતાઓ કાર્યકર્તાઓ અત્યારે ગુજરાતના ઘરે ઘરે પહોંચવાના પ્રયત્નો કરશે.
પરંતુ દિનપ્રતિદિન નબળી પરિસ્થિતિમાંથી પસાર થતી ગુજરાત કોંગ્રેસને અશોક ગેહલોત દ્વારા અપાયેલા આ ચુંટણી સૂત્રો કેટલા કારગર સાબિત થશે તેના પર તો શંકા ઉદભવે છે.
દર વખતે ચુંટણી આવે અને આવા જ પ્રકારની વાતો મુદ્દાઓ, સૂત્રો લઈને કોંગ્રેસ ચુંટણી મેદાનમાં ઉતરે છે પરંતુ છેલ્લે જ્યારે પરિણામ આવે ત્યારે આવા કોઈ પણ પ્રકારના સૂત્રો ક્યાંય ગમાણમાં ધકેલાઈ જાય છે.
ગુજરાતમાં અનેક કોંગ્રેસ નેતાઓ છે કે દેડકા સમાન ચુંટણી સમયે આપોઆપ ઉદભવ પામે છે અને જેવી ચુંટણીઓ પૂરી થાય તે ભેગા જ અંતર્ધ્યાન અવસ્થામાં ચાલ્યા જાય છે, સતત લોકોમાં રહીને વિવિધ મુદ્દાઓના નિરાકરણ માટે મથતાં કોંગ્રેસ નેતાઓના અભાવે ગુજરાત કોંગ્રેસ પરથી ગુજરાતની જનતા નિરાશ છે તેવું અવારનવાર જોયું છે.
આવા સમયે અત્યારે સફાળી જાગેલી કોંગ્રેસ છેલ રાજસ્થાનથી આયાત કરેલા માનનીય મુખ્યમંત્રી અશોક ગેહલોતના માર્ગદર્શન અને સહારે ગુજરાતની જનતા સમક્ષ કઈ નવી વાટ ફોડે છે તેવું જોવાનું રહેશે.