ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ ભાજપમાંથી યોગી સરકારના કેબિનેટ મંત્રીઓથી પહેલી ટર્મના ધારાસભ્યો રાજીનામા આપીને ચાલતી પકડી રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં અચાનક જ સર્જાઇ રહેલા આ ઘટનક્રમ વચ્ચે ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલની નવી સરકારના મંત્રીઓને બુધવારની સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને બોલાવાયા હતા. જ્યાં મુખ્યમંત્રીની હાજરીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે તમામને હવે 7 જ મહિના છે. ત્યારે નવી સરકારનું પરફોર્મન્સ બતાવવા આદેશ કર્યાનું જાણવા મળ્યું છે.
સામન્યત રીતે કેબિનેટની બેઠકના ત્રણ- ચાર કલાકો બાદ મુખ્યમંત્રી નિવાસસ્થાને સરકારના તમામ મંત્રીઓ એકત્ર થતા નથી. પરંતુ, બુધવારની સાંજે અસામાન્ય સંજોગોમાં CMOમાંથી એક પછી એક એમ રાજ્ય કક્ષાના મંત્રી સહિત તમામને મુખ્યમંત્રી નિવાસસ્થાને પહોંચવા કહેવાયુ હતુ. CM હાઉસમાં સાંજે પાંચ વાગ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પટેલની અધ્યક્ષતામાં એક કલાક બેઠક મળી હતી. સત્તાવારપણે બંધબારણે મળેલી બેઠકમાં શું થયું તે જાણી શકાયુ નથી.
જો કે 14મી ગુજરાત વિધાનસભાની મુદ્દત પૂર્ણ થવાને આડે હવે માંડ 11 મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે. નવી સરકારની રચનાને ચાર મહિના પૂર્ણ થઇ રહ્યા છે. ગુજરાતમાં સમયસર ચૂંટણી યોજાય તો આગામી ઓક્ટોબર 2022થી સરકારી વહીવટી તંત્ર આચાર સંહિતા હેઠળ આવશે. આથી, બેઠકમાં પ્રદેશ અધ્યક્ષે ચૂંટણીમાં ઉતરતા પહેલા નવી સરકારના મંત્રીઓને પરફોર્મન્સ બતાવવા સુચના આપ્યાનું કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, એક તરફ વહીવટી તંત્ર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહે વિધાનસભામાં રજૂ થનારા બજેટ સંદર્ભે માંગણા પત્રકો રજૂ કરી રહ્યુ છે. તેવામાં બેઠકમાં ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં બદલાતા જાતીગત સમીકરણોના પ્રવાહોને નજરસમક્ષ રાખીને ગુજરાતમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવા મંત્રીઓને સુચના આપ્યાનું કહેવાયુ છે. જેના માટે સીએમ ભૂપેન્દ્ર પટેલે મંત્રીઓને ધારાસભ્યોથી પાલિકા-પંચાયતોમાં ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ અને સામાન્ય નાગરિકો પાસેથી સુચનો એકત્ર કરવા કહ્યું હોવાનું જાણવા મળ્યું છે.