ઢોંગી ઢબુડીની ધરપકડ કરવા ગાંધીનગર પોલીસે બીજી નોટિસ ફટકાર્યા બાદ ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા બુધવારે મોડી સાંજે પેથાપુર પોલીસ સ્ટેશનમાં 11.45 વાગ્યે હાજર થયો હતો. ત્યાં દોઢ કલાકની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ધનજીના આખા ઇતિહાસથી માંડીને સઘળી માહિતી પુછી હતી. ત્યારે ધનજી ઓડે મોટા ઘટસ્ફોટ કર્યા હતા.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડને બુધવારે પેથાપુર પોલીસે બીજી નોટિસ ફટકારી છે. એક યુવાનના મોત મામલે તેની સામે પેથાપુર પોલીસ મથકમાં થયેલી અરજી અનુસંધાને પોલીસે તેને નિવેદન માટે અગાઉ પ્રથમ નોટિસ આપી હતી. પરંતુ ધનજી ઓડે પોલીસ મથકે હાજર થવાના બદલે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન ધનજી ઓડ ફોરેન ભાગી જાય તેવી પોલીસને શંકા હોવાના કારણે બુધવારે તેને બીજી નોટીસ ફટકારવામાં આવી છે.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડે પોલીસની પુછપરછમાં મોટા ઘટસ્ફોટ કર્યા હતા. પોલીસના ઉચ્ચ અધિકારીએ ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સાથે થયેલી પુછપરછ બાદ જણાવ્યું હતું કે, અમે તેને ઢબુડી નામ પાડવાના પાછળનું કારણ પુછ્યું હતું. ત્યારે ધનજીએ કહ્યું કે, મેં જોગણીમા પાસે દીકરીની માંગણી કરી હતી. તે દરમિયાન મને રાત્રે સપનામાં ઢબુડી જેવી ઢીંગલી દેખાઇ હતી. ત્યારથી મારામાં અમુક ફેરફારો દેખાયા, ભક્તિમાં રસ જાગ્યો. ત્યારબાદ મારું નામ ઢબુડી પડ્યું. ધીરે ધીરે તેનામાં લોકોની શ્રધ્ધા વધતી ગઇ, લોકોનાં કામ થવા લાગ્યાં એટલે બધા આવવા લાગ્યાં.
પોલીસે જ્યારે ઢબુડી ઉર્ફે ધનજી ઓડને સંપત્તિ વિશે પુછ્યું તો તેને જણાવ્યું હતું કે, મારી પાસે ગાંધીનગર પાસે આવેલા રૂપાલમાં વારસાગત મળેલું દાદાનું મકાન છે. તેના સિવાય દેના બેંક, એક્સિસ બેંકમાં મારું, પત્ની અને મારા પુત્રનું એકાઉન્ટ છે. આ સિવાય અમારી પાસે ‘મોમાઈ ભક્ત ટ્રસ્ટ’ છે જેમાં ભક્તો જે દાનદક્ષિણા આપે તેમાં જમા થાય છે. ધનજી ઓડે ઉમેર્યું હતું કે, હું પહેલા રૂપાલમાં મજૂરી કરતો હતો, ત્યારબાદ રિક્ષા ચલાવતો હતો.
ઢબુડી ઉર્ફે ધનજી ઓડને પહેલી નોટિસ બાદ કેમ ભૂગર્ભમાં જતો રહ્યો હતો, તેના જવાબમાં પણ ધનજીએ ઉડાઉ જવાબ આપતા જણાવ્યું હતું કે, હું પરિવાર સાથે ઉજ્જૈન દર્શન કરવા ગયો હતો. પરંતુ હું કાયદાને માનું છું એટલે અમે આગોતરા અરજી કરી હતી અને એટલે જ આજે હું આવ્યો છું.’
ધનજી ઓડનાં નિવેદનો બાદ પોલીસે જણાવ્યું કે હવે અરજદાર ભીખાભાઇ પાસેથી વિશેષ પુરાવાની માંગ થશે. આ અંગે વધુ તપાસ થશે. ભીખાભાઇ સિવાય ધનજી સામે કોઇપણ ફરિયાદ થઇ નથી.