રીના બ્રહ્મભટ્ટ દ્વારા:
કહેવાય છે કે, વધારે પડતો આત્મવિશ્વાસ ઘણીવાર આત્મશ્લાધા બની જાય છે. અને સત્ત્તાધરીઓ મગરૂર બની જાય છે. અને આ મગરૂરી તે હદે વધે છે કે, આવા લોકો ભૂલી જાય છે કે, તેઓ પ્રજા વચ્ચેથી પ્રજા દ્વારા પ્રજાના કાર્યો કરવા આવ્યા છે. અને આ વાતનો લોકોને જયારે કડવો અનુભવ થાય છે, ત્યારે લોકો પણ તક મળે સબક શીખવવાના મૂડમાં આવી જાય છે. હાલ લોકો પણ આવા જ મૂડમાં છે. અને વાતમાં દમ પણ છે. કેમ કે, પ્રજાના આ સેવકો ચૂંટણી પત્યા બાદ પોતાના હીત સાધવામાં એ હદે ગુલતાન થઇ જાય છે. કે ભૂલી જાય છે કે, તેઓ 5 વર્ષ માટે છે અને 5 વર્ષ બાદ ફરી એકવાર પ્રજા વચ્ચે એમને જવું પડશે. ત્યારે લોકોંને ક્યા મોઢે એમને ચૂંટવા માટે કહી શકશે? શું લોકો નથી જાણતા હોતા કે, આ 5 વર્ષમાં તેમને શું કર્યું છે ? અને પ્રજા અગર મળવા જાય તો એમની સાથે શું વ્યવહાર કર્યો છે? જો કે, આ સઘળી હકીકત વાસ્તવમાં કોઈ એક પક્ષને લાગુ નથી પડતી અસલમાં બધા સત્તાધારી પક્ષ અને એમના ચૂંટાયેલા નેતાઓનું વલણ લગભગ આવું જ હોય છે, પરંતુ જે પક્ષ સત્તા પર હોય એને જ લોકો કહે.
વેલ, ગુજરાતમાં હવે ખરેખરીનો ખેલ ચાલુ થઇ ચુક્યો છે. અને ભાજપે લોકોની નારાજગી જોઈને મહાસંપર્ક અભિયાન શરુ કર્યું છે. એમાં અમિતશાહ, આંનદીબેન, .જીતુ વાઘાણીથી લઈને ભાજપના ટોચના નેતાઓથી લઈને સ્થાનિક કોર્પોરેટરે પણ બુથ લેવલે અને ઘરે ઘરે પ્રચાર અભિયાન શરુ કર્યું છે. ત્યારે અહીં તે ઉલ્લેખનીય બને છે કે, પાછલા કેટલાક સમય થી સ્થાનિક સમસ્યાઓ થી પ્રજા પરેશાન છે. જેમાં એકતરફ નોટબંદી હતી તો એની પાછળ પાછળ રોગચાળો અને ફરી પાછું ચોમાસુ આવ્યા બાદ એની એ જ સમસ્યાઓ પણ નિવારણના બદલે તદ્દન લાપરવાહી એ પ્રજાની ધીરજની કસોટી લઇ નાખી
તૂટેલા રોડ-રસ્તા, પાણીની કટોકટી, ગંદુ પાણી, મચ્છરો, રોગચાળો નાથવામાં નિષ્ફ્ળતા, ઠેર ઠેર કચરાના ઢગલા , સિવિલમાં 48 કલાકમાં 20બાળકોના મૃત્યુ , રખડતા ઢોરોનો ત્રાસ, જેવી અનેક સમસ્યાઓ સામે લોકોનો આક્રોશ ચરમસીમા એ છે. અને આશ્ચર્યની વાત તો તે છે કે, આટ આટલું ગાવા છતાં હજુ આજે પણ ઘણે ઠેકાણે રોડ-રસ્તા તૂટેલા જ છે. જ્યાં ત્યાં થીગડાં મારી રોડ થોડા ઘણા રીપેર કરાયા છે. તેમછતાં સાલું એ જ સમજાતું નથી કે, આખરે મ્યુનિસિપાલિટીમાં શું ચાલી રહ્યું છે. કે ચૂંટણી માથા પાર હતી તેમ છતા રોડ રસ્તા રીપેર ના કરાયા।.
ખેર, આ જ કારણોસર લોકો ગૌરવ સંપર્ક યાત્રા દરમ્યાન ભાજપના નેતાઓ ને કેટલાક સ્થાનોએ એન્ટ્રી લેવા જ નથી દેતા.આવો અનુભવ અત્યાર સુધી કેટલાય નેતાઓને થઇ ચુક્યો છે. પરંતુ હાલ માં જ સાસાદ કિરીટ સોલંકીને ઓઢવમાં લોકો એ ઘેરી લીધા હતા. અને જનતાનગરમાં જવા દીધા ના હતા. એ જ પ્રકારે એલિસબ્રિજ વિસ્તારમાં પણ કોચરબ આશ્રમ નજીક 3 કોર્પોરેટરને લોકો એ ભગાડી મુક્યાં હતા. તો સુરતના વરાછામાં પણ આવું જ બન્યું હતુ..
ત્યારે ખુદ ભાજપના કાર્યકરો જ કબુલી રહ્યા છે કે, ભાજપથી લોકો ભારોભાર નારાજ છે. અને લોકોનો સંપર્ક કરતા પણ આ નેતાઓ ખચકાઈ રહ્યા છે. ત્યારે લાગે છે કે, ભાજપે ચૂંટણી અગાઉ હોમ વર્ક બરાબર નથી કર્યું, અન્યથા એને ખ્યાલ આવત કે, ચૂંટણીઓમાં સ્થાનિક સમસ્યાઓને અવગણી શકાય નહિ. કેમ કે, મત પણ આ લોકો પાસેથી જ માંગવાના છે.. ત્યારે જો ભાજપ અને ખુદ મોદીએ સ્થાનિક સમસ્યાઓ મુદ્દે જો પૂરતું ધ્યાન આપ્યું હોત તો આજે આ નોબત ના આવત. લોકોના જવાબ આપવાના પણ એમને ફાંફા પડી રહ્યા છે.