ખોડલધામને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. ખોડલધામમાં પાટોત્સવ સમારોહમાં જનમેદની ભેગી કરવાનો કાર્યક્રમ મોકૂફ રખાયો છે. કોરોના સંક્રમણની વધી રહેલી સ્થિતિને જોતા ખોડલધામ ટ્રસ્ટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. ખોડલધામનો સમગ્ર પાટોત્સવ સમારોહ વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે.
લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
આ પાટોત્સવમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, પ્રધાનો સહિત મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહેવાના હતા. ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, આગેવાનો અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. પાટોત્સવમાં 108 કુંડી યજ્ઞ યોજાનાર હોવાથી સ્વયંસેવકો દ્વારા હવનકુંડ તૈયાર કરી દેવામાં આવ્યા છે.
સમગ્ર રાજ્યમાં જીવલેણ કોરોના વાયરનો કહેર યથાવત છે, તો બીજી તરફ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણને લઈને કોર કમિટીએ નિર્ણય લીધો છે કે હવે ફકત ઓનલાઈન જ ઉજવણી કરાશે. ટ્રસ્ટી અને આગેવાનોની હાજરીમાં મહા આરતી થશે, લોકો ઓનલાઈન દર્શન કરી શકશે.