ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યારથી જ પ્યાદાઓ ગોછવવામાં આવી રહ્યા છે. ગુજરાત ભાજપનો અભેધ કિલ્લો છે.પાછલા 25 વર્ષથી ભાજપને કોઈ હરાવી શક્યું નથી. 2022માં આવી રહેલી ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે નીતનવા સમીકરણોની ચર્ચા કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ ભાજપ અને કોંગ્રેસની ઉંઘ હરામ થઈ જાય એ સ્વભાવિક છે. પાટીદારોએ અત્યારથી જ આપની તરફેણમાં લોક જુવાળ ભેગો કરવાની કવાયત આદરી દીધી છે. પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળ્યા હોવાનો પુરાવો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોવા મળ્યો હતો અને હવે કેજરીવાલ આ સિલસિલાને આગળ વધારી વિધાનસભાની ચૂંટણી સુધી લઈ જવાની ઈચ્છા રાખે તો એમાં નવાઈ પામવા જેવું નથી.
મૂળભૂત વાત એ છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આમ આદમી પાર્ટી એકલા હાથે હાંફી રહી છે. સોશિયલ મીડિયામાં જોર જરુર દેખાય છે પણ એ જોર ચૂંટણી આવતાં સુધીમાં ઓસરી જવાની આશંકા પણ નકારી શકાતી નથી તો જોરમાં વધારો થવાની શક્યતા પણ એટલી જ પ્રબળ છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી માટે ગુજરાત સર કરવાના વિકલ્પો ખુલ્લા છે.
બીજી તરફ કોંગ્રેસની વાત કરીએ તો પાછલા 25 વર્ષથી કોંગ્રેસ પોતાના ભાગની એટલે કે 50 પ્લસ સીટ જીતીને સાંત્વના મેળવતી રહી છે. આપે આને લઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મેળાપીપણું હોવાના આરોપ પણ મૂક્યા છે. ખુદ કેજરીવાલે ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સમજૂતીથી ચૂંટણી લડવામાં આવતી હોવાનો આરોપ મૂક્યો છે.
25 વર્ષનો ચૂંટણીનો સિનારીયો જોઈએ તો એવી 80થી 85 સીટ છે જ્યાં કોંગ્રેસ કદી પણ જીતી નથી. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં કોંગ્રેસના સૂપડા સાફ થતાં આવ્યા છે. કોંગ્રેસનું સંગઠન સીટી વિસ્તારોમાં તદ્દન મૃતપ્રાય સ્થિતિમાં છે. ગુજરાતમાં ભાજપને હરાવવા માટે કોંગ્રેસ અને આપ દ્વારા ફોર્મ્યુલા પર વિચારણા કરવામાં આવી રહી છે કે કેવી રીતે ગુજરાતમાં ભાજપને મહાત કરવો.
ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આપ અને કોંગ્રેસે હાથ મિલાવ્યા વિના છૂટકો નથી. જો બન્ને પાર્ટી 182 સીટ પર અલગ અલગ રીતે ઉમેદવારો ઉભા રાખે તો સીધો ફાયદો ભાજપને જ થાય અને ભાજપની સીટોમાં મબલખ વધારો થાય. પાછલા 25 વર્ષથી કોંગ્રેસ જે સીટો પર જીતી શકી નથી તેવી સીટો સાથે આપની જોડે ભાગીદારી કરી ગઠબંધનની ફોર્મ્યુલા પર વિચારણા કરવા માટે કેટલાક કોંગ્રેસીઓ નેતાઓ ચર્ચા કરી રહ્યા છે.
કોંગ્રેસ અને આપને કેટલાક સૂત્રો કહી રહ્યા છે કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે આપ અને કોંગ્રેસે ગઠબંધન કરવાની જરુર છે. ગઠબંધન સાથે ચૂંટણી લડાશે તો વોટોનું ધ્રુવીકરણ અટકાવી શકાશે અને ભાજપને જે ફાયદો થાય છે તે ફાયદો થાય નહીં.
આવી ફોર્મ્યુલા અંગે બન્ને પાર્ટીનાં કેટલાક નેતાઓ ઉપરાંત પાટીદાર સમાજના આગેવાનો પણ ચર્ચા કરી રહ્યા છે. કોંગ્રેસની સ્થિતિ એવી છે કે હજુ સુધી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની હારની કળમાં બહાર આવી નથી. જોવાનું એ રહે છે કે હવે નેતાઓ અને કાર્યકરોની આ ચર્ચા કોંગ્રેસ અને આપનાં નેતાઓ પર કેવા પ્રકારની અસર કરે છે.