અમદાવાદઃ ભરઉનાળે મંગળવારે રાત્રે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. કાળઝાર ગરમી વચ્ચે વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરી હતી. અને લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી. જેના કારણે અનેક વિસ્તારોમાં વીડળી પણ ડૂલ થઈ ગઇ હતી. તો હવામાન વિભાગની આગાહીપ્રમાણે, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40 કિ.મી.ની ઝડપે પવન સાથે મધ્યમથી હળવા વરસાદની શક્યતાઓ છે.
હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે, બુધવારે બનાસકાંઠા, પાટણ, ડાંગ, વલસાડ, નવસારી, રાજકોટ, અમરેલી, જુનાગઢ, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે ગુરુવારે કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢમાં ઉપરાંત શુક્રવારે બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, કચ્છમાં, શનિવારે બનાસકાંઠા,પાટણ, આણંદ, ભરૂચ, કચ્છ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ભાવનગરમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
મંગળવારે રાતે અચાનક વાતાવરણમાં પલટો આવતા અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોવિંદપુર, કુબડામા ધોધમાર વરસાદ વરસતા ગામના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સુખપુર ગામની સ્થાનિક નદીમાં પાણી વહેતા થયા હતા.
ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ધારીના સુખપુરમાં કરાનો વરસાદ. ગામમાં જાણે બરફવર્ષા થઈ તેવો માહોલ જોવા મળ્યો હતો. એક કલાક સુધી વરસાદ ખાબકતા સ્થાનિક નદીમાં પુર આવ્યું હતું. અચાનક જ કરાનો વરસાદ ખાબકતા લોકો સ્તબ્ધ થયા છે. વરસાદથી કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે.
થોડા દિવસોમાં ધારી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસતા જીરુ, તલ, મગ, કેરીના પાકને નુક્શાની થઈ છે. ધારી પંથકના સરસીયા, ફાચરીયા, ગોવિંદપુર, સુખપુર, ખીચા, નવાગામ ફતેગડ વગેરે ગામોમાં મંગળવારે બપોર બાદ વરસાદ વરસતા માર્ગો પર પાણી ભરાયા હતા. બાબરા તાલુકાના કોટડાપીઠા તથા આસપાસના ગામોમાં આજે સમી સાંજે કમોસમી માવઠાંથી મેઈનબજારમાં પણ પાણી વહ્યા હતા.