ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેરનું જોર ધીમે ધીમે ઘટી રહ્યું છે. અને લોકોને રાહત આપવા માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. કોરોનાના કેસમાં ઘટાડો થવાના કારણે રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી છે. નવા જાહેરનામામાં રાજ્યના 36 શહેરોમાં કર્ફ્યૂનો સમય રાત્રે 9 થી સવારે 6 વાગ્યા સુધી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કર્ફ્યૂના સમયમાં એક કલાક ઘટાડો કરાયો છે. આ પહેલા રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. આ જાહેરનામું 4 જૂન સુધી અમલી રહેશે.
આ સિવાય હોટેલ-રેસ્ટોરન્ટ ધારકો માટે પણ છૂટછાટ વધારી છે. હોટલ અને રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે. જોકે દુકાનો માટેનો સમય સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે.
મિની લોકડાઉન પછી રાજ્ય સરકારે 20 મે ના રોજ વેપારીઓ અને દુકાનદારોને રાહત આપવાનો નિર્ણય કર્યો હતો. રાજ્યમાં આંશિક લોકડાઉન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે.
આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ સવારના 9 થી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.