અમદાવાદ: અરબી સમુદ્રમાં ગુજરાત માટે એક મોટું સંકટ આગળ વધી રહ્યું છે. કોરોનાના સંકટ વચ્ચે સમુદ્રી આફત ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહી છે. તોકતે વાવાઝોડું વધારે મજબૂત બની ગયું છે અને આજે રાત્રે 10 વાગ્યાની આસપાસ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને ટકરાશે. આમ તંત્ર દ્વારા દરિયાકાંઠે ગ્રેટ ડેન્જર સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જેનો મતલબ થાય છે કે વાવાઝોડું વધારે નુકસાન પહોંચાડી શકે છે. જેના પગલે હવે ગુજરાત માટે એક એક મિનિટ મહત્ત્વની બની છે.
શું છે ગ્રેટ ડેન્જર સિગ્નલ?
ગ્રેટ ડેન્જર સિગ્નલને 10 નંબરનું સિગ્નલ પણ કહેવામાં આવે છે. આ સિગ્નલ ભાગ્યે જ લગાવવામાં આવતું હોય છે. જેનો મતલબ થાય છે કે વાવાઝોડું વધારે નુકસાન પહોંચાડી શકે છે. ગ્રેટ ડેન્જર સિગ્નલ લાગ્યું તેનો મતલબ એવો છે કે વાવાઝોડું પાર્ટ નજીકથી પસાર થશે કે પોર્ટ પર ટકરાશે ત્યારે ખરાબ વાતાવરણનો સામનો કરવો પડશે, જેના પગલે સ્થિતિ વધારે બગડી શકે છે.
કયા જિલ્લામાં કયા નંબરનું લગાવાયું છે સિગ્નલ
– પોરબંદર: ટાઉતે વાવાઝોડાને લઈને બંદર પર ચાર નંબરનું સિગ્નલ હટાવીને આઠ નંબરનું સિગ્નલ લગાવ્યું છે. પોરબંદરના દરિયાકાંઠા વિસ્તારમાં લોકોને ન જવાની અપીલ કરવામાં આવી છે. દરમિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. ચોપાટી વિસ્તારમાં ફરતા લોકોને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સોમવારે વહેલી સવારથી જ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
– અમરેલી: જાફરાબાદમાં 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે. દરિયામાં કરંટ પણ જોવા મળ્યો.
– ગીર સોમનાથ: ટાઉતે વાવાઝોડાને લઈને વેરાવળ બંદર પર ભયસૂચક સિગ્નલ નંબર 10 લગાવાયું છે. ભાગ્યે જ લાગતું આ સિગ્નલ વાવાઝોડાની ગંભીરતા બતાવે છે.
– વેરાવળ: વેરાવળ બંદર ખાતે 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ બંદર પર પાંચ હજારથી વધુ બોટ પાર્ક કરવામાં આવી છે. વાઝોડાથી આ બોટોને નુકસાનની ભીતિ છે. મળતી માહિતી પ્રમાણે 25 વર્ષ બાદ અહીં 10 નંબરનું સિગ્નલ લાગ્યું છે.
– ભાવનગર: તોકતેની અસરને પગલે ઘોઘા બંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે. હાલ 60થી 70ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.