જામનગર: નાની નાની બાબતોમાં આત્મહત્યા કરવાની ઘટનાઓ દરરોજ બનતી રહે છે. ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં દરરોજ આપઘાતના 20 બનાવો બને છે. છેલ્લા બે વર્ષના આંકડા તપાસીએ તો રાજ્યમાં આત્મહત્યાના 14,410 કેસ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક વધુ કેસ જામનગરમાં બન્યો છે. અહીં એક 21 વર્ષીય યુવતીએ ઉપર મુજબની ચીઠ્ઠી લખીને આપઘાત કરી લીધો છે.
યુવતીએ ચીઠ્ઠીમાં લખ્યું હતું કે, ‘આમા કોઈનો વાંક નથી. મારા ઘરના કે કોઈનો વાંક નથી. હું મારા મનથી મારી જિંદગી છોડું છું. કોઈને હેરાન ન કરતા. નકર મારો જીવ નહીં જાય. હું મારી મનથી મારી જિંદગી છોડું છું.’ આ અંગે પોલીસે વધુ તપાસ હાથધરી ચે.
ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે જામનગર શહેરમાં આવેલી પટેલ કોલોની ખાતે રહેતી 21 વર્ષની ડિમ્પલ આસોડિયાએ કોઈ કારણસર સુસાઈડ નોટ લખીને પોતાના ઘરે જ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બનાવ ધ્યાનમાં આવ્યા બાદ તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી.
જોકે, 108નો સ્ટાફ કંઈ કરતે તે પહેલા જ યુવતીનું મોત થઈ ચુક્યું હતું. આ બનાવ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિવારના સભ્યોની પૂછપછ કરી હતી. તપાસ દરમિયાન એક સુસાઇડ નોટ મળી આવી છે. યુવતીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે તેણી પોતાની મરજીથી જિંદગી ટૂંકાવી રહી છે. આ પાછળ કોઈને વાંક નથી.