પોલિટિકલ ડેસ્ક:રાજકોટમાં વિપક્ષી નેતા દ્વારા સંકેત અપાતાં સૌરાષ્ટ્રના રાજકારણમાં એ ચર્ચાએ જોર પકડ્યું છે કે કોંગ્રેસના પૂર્વ કદાવર નેતા અને રાજકોટના માજી ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ફરીથી કોંગ્રેસમાં ઘરવાપસી કરી શકે છે.
ચૂંટણીપંચે ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત કરતાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે. કોંગ્રેસે પેટાચૂંટણી પહેલાં મહાત્મા ગાંધીની 150 જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે પોરબંદર થી સાબરમતી આશ્રમ થઈને દાંડી સુધીની ગાંધી સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે. ત્યારે રાજકોટમાં આયોજિત એક કાર્યક્રમમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પાર્ટીની વિચારધારાને સમર્થન આપતા દરેક લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે. ત્યારે આ ઈશારો ઇન્દ્રનીલ રાજ્યગુરૂ તરફ હોવાની અટકળ વહેતી થઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીને પડકાર આપનાર ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કોંગ્રેસમાં અવગણના થતી હોવાનું કહીને પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. આ સાથે તેમના કુંવરજી બાવળિયા સાથેના મતભેદો પણ બહાર આવ્યા હતા.
કોંગ્રેસ છોડ્યા બાદ પણ રાજ્યગુરુએ કોઈ પક્ષમાં જોડાણ કર્યું ન હતું તેમજ જસદણ પેટાચૂંટણી સમયે કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર પણ કરતાં અફવા વહેતી થઈ હતી કે ઇન્દ્રનીલ કોંગ્રેસમાં વાપસી કરી શકે છે પણ ત્યારે આ શક્ય બન્યું નહોતું, પણ હવે ધાનાણીના નિવેદન બાદ બની શકે ઈન્દ્રનીલ ફરીથી પક્ષ વાપસી કરે.