જામનગર : કોરોના વાયરસના પગપેસરાથી અત્યારસુધીમાં દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા 49 લાખને પાર કરી ગઈ છે. ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આ સાથે જ જામનગરમાં કોરોના સંક્ર્મણ વધતા જાગૃત વેપારીઓ એક્શન મોડમાં આવ્યા છે. કોરોના વાયરસ વકરવાની સ્થિતિ જોઈને ગ્રેઈન માર્કેટ, સ્ટેશનરી અને બુક સેલર્સના વેપારીઓ દ્વારા 16થી 31 સપ્ટેમ્બર સુધી અડધા દિવસનું લોકડાઉન રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, જામનગરમાં 16થી 31 સપ્ટેમ્બર દરમિયાન દુકાનો માત્ર સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. જેનો અર્થ એ કે બપોર બાદ અડધો દિવસ તમામ દુકાનો બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં 14 સપ્ટેમ્બર સુધીમાં 4288 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 31 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જયારે 3937 દર્દીઓ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. નોંધનીય છે કે, ગુજરાતમાં સૌથી વધુ કેસ ધરાવતા જિલ્લામાં જામનગરનો પાંચમો નંબર છે.